વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત છે. વિશ્વભરમાં કોરોનાના કુલ 11 લાખ 34 હજાર 421 કેસ નોંધાયા છે. જેમાંથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 60 હજાર 427 થઈ છે. જ્યારે દેશમાં 2906 કેસ નોંધાયા છે જેમાંથી 77 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 106 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. આ વચ્ચે રાજકોટ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 106 પર પહોંચી છે. સૌથી વધુ 43 અમદાવાદમાં કેસ છે, જ્યારે રાજકોટમાં 10 કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે એક દર્દી સ્વસ્થ થઇ ચૂક્યું છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં સતત પાંચમાં દિવસે કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. રાજકોટમાં ડૉક્ટરોની ટીમ અને પોલીસ તંત્ર 24 કલાક કામ કરી રહ્યા છે. તો રાજકોટ મનપા દ્વારા સતત ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઇ રહી છે. કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આજ રોજ લેવામાં આવેલ તમામ 12 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ગઇકાલે રાજકોટમાંથી વધુ 16 સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા જેમાંથી 10 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
જાગનાથ વિસ્તારના માતા-પુત્રના રિપોર્ટ નેગેટિવ
જાગનાથ વિસ્તારના માતા-પુત્રના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પહેલા માતા-પુત્રના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને બાદમાં નેગેટિવ આવ્યા છે. બન્નેના નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
100 જેટલી તબીબી ટીમો 24 કલાક હોસ્પિટલમાં કામ કરી રહી છે
મહત્વનું છે કે રાજકોટમાં માત્ર 166 પરિવારો જ હોમ કવોરન્ટાઇન કરાયા છે. 402 પરિવારનો 14 દિવસનો સમય પૂર્ણ થયો છે. સિવિલના તબીબો દ્વારા દિવસમાં ત્રણ વખત ચકાસણી કરાઇ છે. છેલ્લા પાંચ દિવસથી રાજકોટમાં એક પણ પોઝીટવ રિપોર્ટ નથી આવ્યો. 100 જેટલી તબીબી ટીમો 24 કલાક હોસ્પિટલમાં કામ કરી રહી છે. ઠેરઠેર માર્ગો પર મનપા દ્વારા ડિસઇન્ફેક્શનની કામગીરી ચાલુ કરી દેવાઇ છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો મહત્વનો નિર્ણય
પાસ વગર એકપણ વ્યક્તિએ ઘરની બહાર નહિ નીકળી શકે. જરૂર પડે લોકોએ પોલીસ કન્ટ્રોલમાં 100 નંબર પર ફોન કરી શકશે. દવા, દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુ ફરજીયાત હોમ ડિલેવરી કરવી પડશે.
રાજકોટ પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ
રાજકોટ પોલીસ કમિશનરે શહેરના ચેકિંગમાં નીકળ્યા હતા. લોકડાઉન સમયે શહેરની પરિસ્થિતિનો તાગ મેળવવા કમિશનર નીકળ્યા હતા. કમિશનર મનોજ અગ્રવાલે રસ્તા પર બિન જરૂરી નીકળતા લોકોને જાહેરનામાનો ભંગ ન કરવા માટે સમજાવ્યાં હતા અને જો કોઇ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ દરેક પોઇન્ટ પર જરૂરી સ્ટાફ છે કે કેમ તે અંગે પણ નિરીક્ષણ કર્યું હતું.