રાજકોટ: આજરોજ મોડી સાંજે લેઉઆ પટેલ સમાજના અગ્રણી અને કાગવડમાં આવેલ ખોડલધામના દ્રષ્ટા અને કર્તાહર્તા નરેશ પટેલે અચાનક રાજીનામું ધરી દેતા કેટલાય તર્ક વતર્કો સર્જાયા હતા. ત્યારે આજરોજ મોડી રાતે રાજકોટ સરદાર ભવન ખાતે આશરે 200થી વધારે યુવાનો રોડ પર ઉતરી આવી વિરોધ નોંધ્યાવ્યો હતો.
આ સાથે યુવાનોએ રાજીનામું પરત ખેંચવા માગ કરી હતી. આ સાથે યુવાનોએ વીટીવીના પ્રતિનિધી સાથે વાતચીત કરતા જણાવેલ કે તમામ વિદ્યાર્થીઓ બુધવાર સવારથી અનસન પર પણ ઉતરવાના છે.
આપને જણાવી દઇએ કે પાટીદાર અગ્રણી નરેશ પટેલે કોઇ અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. પરંતુ નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના આંતરિક રાજકારણથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનું મોટું કારણ માનવામાં આવે છે.
પાટીદાર અગ્રણીના રાજીનામાં મામલે એવું પણ મનાઈ રહ્યું છે કે નરેશ પટેલે કોઈ એક વ્યક્તિના વધુ પડતાં વર્ચસ્વથી કંટાળીને રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાથી જેટલા લેઉવા પટેલ સમાજમાં તર્ક-વિતર્ક ઉભા થયા છે.
આ સાથે અનેક ગણો ખળભળાટ રાજકારણ ક્ષેત્રે પણ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલનું લેઉઆ પટેલ સમાજમાં વિશેષ ભાર રહેલો છે. અને ખોડલધામના વિકાસમાં તેમનો અગ્રગણ્ય ફાળો રહેલો છે. ત્યારે આજરોજ તેમણે અચાનક ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમના રાજીનામાંથી લેઉઆ પટેલ સમાજમાં અંદરો અંદરો ચર્ચાનો દોર ચાલુ થયો હતો.