રાજકોટ શહેરમાં આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે શહેરમાં બે દિગ્ગજ નેતાઓની એન્ટ્રીને લઇને ફરી એક વખત રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાથે એક નવા પક્ષના પગરવ મંડાઇ તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ત્યારે જો આ ત્રીજો નવો પક્ષ મનપાની ચૂંટણી લડશે તો ચોક્કસથી ત્રિપાંખીયો જંગ જોવા મળશે. જેને લઇને હવે ચોક્કસ એ જોવાનું રહેશે કે રાજકોટ મનપા પર કોણ સત્તામાં આવશે.
રાજકોટમાં 2 મોટા નેતાઓની ફરી રાજનીતિમાં એન્ટ્રીની શક્યતા
પૂર્વ MLA ઇન્દ્રનીલ અને ભાજપના રાજભાની થઇ શકે છે એન્ટ્રી
મનપા ચૂંટણીની પહેલા બંન્ને નેતાઓ થઇ શકે છે સક્રિય
રાજકોટમાં બે દિગ્ગજ નેતા ફરી એક વખત રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ અને ભાજપના રાજભાની ફરીથી એન્ટ્રી થાય તેવી સંભાવના છે. મનપાની ચૂંટણી પહેલા બન્ને નેતાઓ સક્રિય થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂને મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં લાવવા માટે કવાયત કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.
રાજકોટ મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ અગાઉ રાજભા ઝાલાએ ભાજપમાંથી બળવો કર્યો હતો ત્યારે હવે ફરીથી રાજકારણમાં આપની પાર્ટીથી સક્રિય થાય તેવી શક્યતા છે.
જ્યારે બીજી તરફ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રદેશના નેતાઓ સામે બાયો ચઢાવી હતી. હવે બન્નેની એન્ટ્રી થાય તો મનપાની ચૂંટણીમાં નવા સમીકરણ જોવા મળી શકે છે.