રાજકોટ મનપાનું પાણી બારોબર વેચાવાની ફરિયાદ થઈ છે. જેમાં 10 હજાર લીટર પાણી રૂપિયા 1 હજારમાં વેચાતુ હોવાની ફરિયાદ કરાઈ હતી. જેને લઈને પાણીનુ ટેન્કર ભરવા ગયેલી એજન્સીને રૂપિયા 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જોઇએ આ અહેવાલ.
પાણીનુ ટેન્કર ભરવા ગયેલી એજન્સીને રૂપિયા 1 લાખનો દંડ તેમજ મ્યુનિસિપલ કમિશ્નરે એજન્સીને બ્લેક લીસ્ટ કરવા માટે નોટિસ આપી છે. મળતી માહિતી મુજબ રૈયાધાર પરથી ટેન્કર ઝડપાતાં આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. મનપાના કોન્ટ્રાક્ટવાળા ટેન્કરના પાણીનું ગેરકાયદે વેચાણ કરતા હતા. મહત્વનું છે કે,આ મામલે સિક્યુરીટી એજન્સીએ પણ ખુલાસો કરવો પડશે.
વોટરવર્કસ ચેરમેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મહાનગરપાલિકાનું પાણી કોંગ્રેસના આગેવાનોના ઇશારે બારોબાર વેચી નાખવામાં આવતું હતું. ટેન્કર અને ડ્રાઇવરને જવા દેવા રમેશ ઝુંઝા અને મોહન સિંધવે ધમકી પણ આપી હતી.
વોર્ડ નં.1માં રૈયાધાર સ્લમ ક્વાર્ટસ પાસે મહાનગરપાલિકાએ પાણીનો ટાંકો બનાવ્યો છે. આ ટાંકામાંથી જ્યાં પાણીના કનેક્શન નથી તે વિસ્તાર ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં ટેન્કર મારફતે સવારથી બપોરે 1.30 વાગ્યા સુધી પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ અંગે મનપા કમિશનર બંછાનિધી પાનીએ રૈયાધાર ટાંકેથી પાણી ભરતી એજન્સીને લાખનો દંડ અને બ્લેક લિસ્ટ અંગેની નોટિસ પાઠવી છે.