ભારત સરકારની ગાઈડલાઈન મુજબ લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીની ગાઇડલાઇનની જેમ ગુજરાતમાં પણ ઓડ ઇવન પધ્ધતિ લાગૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં આ ઓડ ઇવન ફોર્મ્યુલા અંગે માહિતી આપવામાં આવી છે.
રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની જાહેરાત
રાજકોટમાં ઓડ-ઇવન તારીખ મુજબ દુકાન ખુલ્લી રાખી શકાશે
રાજકોટમાં આજથી નહીં થાય પાસનું ચેકિંગ
રાજકોટ શહેરના કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા હેઠળ દુકાન ખોલવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રાજ્ય સરકારની ગાઈડલાઈન આવ્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં ઓડ-ઇવન (એકી–બેકી) તારીખ મુજબ દુકાન ખુલ્લી રાખી શકાશે.
રાજકોટમાં આજથી નહીં થાય પાસનું ચેકિંગ
રાજકોટમાં આજથી પાસનું ચેકિંગ નહીં થાય. માત્ર 24 કલાકની મંજૂરી ધરાવતા મેડિકલ સ્ટોર જ બપોર બાદ રહી શકશે ચાલુ. લોકડાઉન 4ની રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ રાજકોટ પોલીસ કમિશનરે પણ જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ હવે રાજકોટમાં બપોરે ચાર વાગ્યા બાદ કોઇ દુકાન નહીં ખોલી શકાય. માત્ર 24 કલાક મંજૂરી ધરાવતા મેડિકલ સ્ટોર જ બપોર બાદ ચાલુ રહેશે. તો આજથી પાસનું ચેકીંગ નહીં કરવામાં આવે અને બપોરે 4 વાગ્યા બાદ દુકાનો ખોલી નહી શકાય. સાથે સાથે સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યૂની જેમ કડક ચેકીંગ કરવામાં આવશે. સાંજે 7 વાગ્યા બાદ બહાર નિકળનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઓડ-ઇવન તારીખ મુજબ દુકાન ખુલ્લી રાખી શકાશે
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની જાહેરાત મુજબ મંગળવારથી રાજકોટમાં પણ ધંધા રોજગાર શરૂ થઇ રહ્યા છે અને તેમાં ઓડ-ઇવન પધ્ધતિથી (એકી–બેકી તારીખ મુજબ) દુકાનો ખુલ્લી રાખી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે તે દુકાન કે વ્યવસાયના સ્થળની પ્રોપર્ટી ટેક્સના નવા નંબરમાં છેલ્લે એકી અને બેકી અંક મુજબ એટલે કે ઓડ અને ઇવન નંબર મુજબ દુકાનો ખુલ્લી રાખી શકશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ થયેલા નવા પ્રોપર્ટી ટેક્સ નંબર નીચે મુજબ હોય છે.
નવા પ્રોપર્ટી ટેક્સ નંબર આ મુજબ હોય છેઃ XXXX / ABCD / EFG
જો પ્રોપર્ટી નંબરમાં EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) ના હોય તો આવી દુકાનોના માલિકોએ "G" ની જગ્યાએ જે અંક આવતો હોય તે અંક એકી છે કે બેકી તે મુજબની તારીખોએ દુકાન ખોલવાની રહેશે.
જો પ્રોપર્ટી નંબરમાં EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) હોય તો આવી દુકાનોના માલિકોએ "D" ની જગ્યાએ જે અંક આવતો હોય તે અંક એકી છે કે બેકી તે મુજબની તારીખોએ દુકાન ખોલવાની રહેશે.
જો દુકાનના પ્રોપર્ટી ટેક્ષ નંબરમાં EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) હોય તો પ્રોપર્ટી નંબરમાં "D" ની જગ્યાએ ઓડ (એકી) નંબર એટલે કે, 1, 3, 5,7 અને 9 આવતો હોય એ દુકાન ઓડ તારીખે એટલે કે એકી તારીખે ખુલશે. અને જો (બેકી અંક) એટલે કે 0 , 2 , 4, 6 , 8 આવતો હોય એ દુકાનો બેકી તારીખે ખુલ્લી રાખી શકાશે.
જો દુકાનના પ્રોપર્ટી ટેક્ષ નંબરમાં EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) ના આવતા હોય તો પ્રોપર્ટી નંબરમાં "G" ની જગ્યાએ ઓડ (એકી) નંબર એટલે કે, 1, 3, 5,7 અને 9 આવતો હોય એ દુકાન ઓડ તારીખે એટલે કે એકી તારીખે ખુલશે. અને જો (બેકી અંક) એટલે કે 0 , 2 , 4, 6 , 8 આવતો હોય એ દુકાનો બેકી તારીખે ખુલ્લી રાખી શકાશે.
દાખલા તરીકે જો પ્રોપર્ટી નંબર 0066/7402/000 હોય તો અહી EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) આવતા હોઈ "D" ની જગ્યાએ આવતો અંક 2 છે એટલે કે બેકી સંખ્યા છે. તો આ દુકાન બેકી તારીખે ખોલવાની રહેશે.
દાખલા તરીકે જો પ્રોપર્ટી નંબર 0184/0094/003 હોય તો અહી EFGની જગ્યાએ ત્રણ ઝીરો (૦૦૦) આવતા ન હોઈ "G" ની જગ્યાએ આવતો અંક ૩ છે એટલે કે એકી સંખ્યા છે. તો આ દુકાન એકી તારીખે ખોલવાની રહેશે.
રાજકોટમાં ઓડ - ઇવન (એકી –બેકી) તારીખ મુજબ દુકાન ખુલ્લી રાખી શકાશે : મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલની જાહેરાત pic.twitter.com/vyrG6M6wZT
— Rajkot Municipal Corporation (@smartcityrajkot) May 18, 2020
ઉપરોક્ત શરતો પરિપૂર્ણ થતી હોય તો દુકાન ખોલવા માટે મહાનગરપાલીકાની કોઈ પરવાનગી લેવાની થતી નથી. દુકાનદાર પોતાના પ્રોપર્ટી ટેક્ષના નવા નંબરની વિગત પોતાની પાસે રહેલ પોર્પર્ટી ટેક્ષ બિલ કે પહોંચમાંથી મેળવી શકે છે અથવા રાજકોટ મનપાની મોબાઈલ એપ અને વેબસાઈટમાં જોઈ શકાશે. હાલ તુરત લોકોને તાકીદની અસરથી જાણકારી આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જાહેરાત કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સ્ટેન્ડએલોન દુકાન (આજુ બાજુ અન્ય દુકાનો ન હોય તેવી સિંગલ દુકાનોએ) માટે આ ઓડ-ઇવન ફોર્મુલા લાગુ પડતી નથી. આવી એકલી દુકાનો હાલના નિયમો મુજબ ખુલ્લી રાખી શકાશે. દરમ્યાન અત્યાર સુધી જે નિયમો મુજબ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ કાર્યરત હતી એ જ રીતે યથાવત ચાલુ રહેશે. વિશેષ વિસ્તૃત માર્ગદર્શિકા હવે પછી જાહેર કરવામાં આવશે તેમ પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.