એક સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓના રિપોર્ટ આવ્યા પોઝિટીવ
રાજકોટમાં રોજબરોજ પરિસ્થિતિ વણસી રહી છે
કોરોનાએ સમગ્ર ગુજરાત સાથે રાજકોટને પણ ભરડે લીધું છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકામાં આરોગ્ય વિભાગના 130 કર્મચારી એક સાથે કોરોના સંક્રમિત થયા છે. ફ્રન્ટલાઈન પર કામ કરતા જ કર્મચારીઓ કોરોના પોઝિટીવ થયા છે. આ કર્મચારીઓમાં પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. જે સતત કોરોનાલક્ષી કામગીરી સાથે સંકળાયેલા હતા.રાજકોટમાં આ પ્રકારના સામૂહિક સંક્રમણનો સોથી મોટી ઘટના છે.
બીજી તરફ રાજકોટની હોસ્પિટલો પણ ભરાઈ રહી છે. જે તંત્ર માટે પણ આ મોટો પડકાર છે. જો કે, બીજી તરફ સરકારે પણ કચેરી અને ઓફિસમાં 50 ટકા સ્ટાફથી કામ કરવાનો આદેશ કર્યો છે. લોકોને પણ અપીલ કરાઈ છે કે, જરૂર વગર કચેરીઓમાં જવું નહીં.
જિલ્લા કલેક્ટરે બેડની વ્યવસ્થાને લઈ આપ્યા આદેશ
કોરોનાની પરિસ્થિતિને લઈ રાજકોટ જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું છે. સરકારની મદદથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરાશે. ઓક્સિજનની સુવિધા સાથેના બેડની વ્યવસ્થા કરાશે. તો અન્ય સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી હોવાની વાત કલેક્ટરે કરી છે. રાજકોટમાં કુલ 1,000 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે રેમડેસિવિર ઈન્જેકશનની ઘટ ઉભી ન થાય તે અંગે પણ વાત કરી હતી. હોમ કોરોન્ટાઇન હશે તેમને પણ પ્રિસ્ક્રિપ્શન સાથે ઈન્જેકશન મળશે. તેની પણ જાહેરાત કરી છે.
રાજકોટ દાણાપીઠ માર્કેટમાં આંશિક લોકડાઉન
રાજકોટમાં કોરોના બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. જેના પગલે વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટમાં સંક્રમણ વધતાં દાણાપીઠની માર્કેટમાં આંશિક લોકડાઉન જાહેર કરાયું છે. વેપારીઓ 18 એપ્રિલ સુધી અડધો દિવસ સુધી જ દુકાનો ખુલ્લી રાખશે.