રાજકોટમાં 18 વર્ષ અગાઉ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં તત્કાલીન 10 કોંગી નેતાઓને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ક્લીનચિટ આપવામાં આવી
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં તોડફોડનો મામલો
તત્કાલિન કોંગ્રેસ નેતાઓ નિર્દોષ જાહેર
જિલ્લા કોર્ટે તમામ 10 લોકોને નિર્દોષ જાહેર કર્યા
રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં તોડફોડના મામલે તત્કાલિન કોંગ્રેસ નેતાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જસવંત ભટ્ટી, નીતિન નથવાણી, ઇન્દ્રનિલ રાજ્યગુરૂને પણ કોર્ટે કલીનચિટ આપી દીધી છે. વર્ષ 2004માં પાણીની રજૂઆત બાબતે મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં તોડફોડના આરોપસર કેસ ચાલતો હતો. રાજકોટ જિલ્લા કોર્ટે તમામ 10 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
કુલ 13 કોંગી નેતાઓ સામે તોડફોડ મામલે થઈ હતી ફરિયાદ
સમગ્ર સુનાવણી બાબતે બચાવ પક્ષ તરફથી વકીલ ભાવિન દફતરી માહિતી આપતા કહ્યું કે રાજકોટમાં વર્ષ 2004માં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની ઓફિસમાં પાણીની રજૂઆત બાબતે તત્કાલીન કોંગ્રેસ અગ્રણી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, જસવંતસિંહ ભટ્ટી અને નીતિન નથવાણી સહિત 13 કોંગી નેતાઓ મોટા ટોળા સાથે ગયા હતા. પાણીકાપને લઈને તે સમયના કોંગ્રેસના નેતાઓએ કમિશનર સામે ઊગ્ર રજૂઆત કરી હતી. પણ જોત જોતાંમાં મામલો બીચક્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની ઓફિસમાં ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.
10 નેતાઓને નિર્દોષ જાહેર , કેસ દરમિયાન 3ના થઈ ચૂક્યા છે મૃત્યુ
આ ઘટના બાબતે ડિવિઝન પોલીસ મથકમાં તત્કાલીન કમિશ્નર મુકેશ કુમારે 13 કોંગી નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં 13માંથી ત્રણ વ્યક્તિઓના કેસ દરમિયાન મૃત્યુ થયા હતા અને આજ રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરુ, જસવંતસિંહ ભટ્ટી અને નીતિન નથવાણી સહિત 10 નેતાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.