ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા તેની અસર હવે હવાઈ મુસાફરી પર પડી છે. રાજકોટ-મુંબઈ એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. કોરોનામાં મુસાફરો ઘટતા એર ઇન્ડિયાએ આ નિર્ણય કર્યો છે. 28 ફેબ્રુઆરી સુધી રાજકોટ-મુંબઈ સવારની ફ્લાઈટ રદ થઇ છે. હવે ફકત સાંજે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ ઓપરેટ થશે.
ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જાણીતું શહેર
ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જાણીતું શહેર છે. ખાસ કરીને સબમર્સીબલ પંપ તથા બેરિંગ ઉદ્યોગ માટે જાણીતું છે. આ કારણોસર રાજકોટના વેપારીને મુંબઇ વારંવાર જવું પડતું હોય છે તો વળી મુંબઇના વેપારીઓને પણ રાજકોટ આવવાનું થતું હોય છે. બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ યાર્ડ પાટનગર તરીકે જાણીતુ રહ્યું છે. ત્યારે રાજકોટથી મુંબઈનો ટ્રાફિક વધુ હોવાના કારણે વિમાની સેવા શરૂ કરવાની ડિમાન્ડ લાંબા સમયથી કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ-મુંબઈ અને રાજકોટ દિલ્હીની હવાઈ સેવા ચાલુ કરવામાં આવી હતી. પણ કોરોના વકરતા આ પહેલા પણ ઘણી વખત ફ્લાઇટ થોડા દિવસો પુરતી મોકૂફ રાખવામાં હતી. હવે 28 ફેબ્રુઆરી સુધી રાજકોટ-મુંબઈ સવારની ફ્લાઈટ રદ થઇ છે.
રાજકોટમાં 10 દિવસમાં કેટલા કેસ?
01 જાન્યુઆરી
41
02 જાન્યુઆરી
40
03 જાન્યુઆરી
37
04 જાન્યુઆરી
36
05 જાન્યુઆરી
141
06 જાન્યુઆરી
183
07 જાન્યુઆરી
203
08 જાન્યુઆરી
166
09 જાન્યુઆરી
194
10 જાન્યુઆરી
254
સોમવારના કોરોના કેસો
રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના નવા 6 હજાર 275 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 27 હજાર 913 થઇ છે. રાજ્યમાં 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે અમદાવાદમાં 2 હજાર 519 કેસ , સુરતમાં 1881 કેસ, વડોદરામાં 398 કોરોનાના કેસ, રાજકોટમાં 254 અને ગાંધીનગરમાં 206 કોરોનાના કેસ નોંધાયા છે. જયારે ભાવનગરમાં 109, નવસારીમાં 118, વલસાડમાં 107 કેસ, કચ્છમાં 70, ભરૂચમાં 68, ખેડામાં 67 અને આણંદમાં 64 કેસ નોંધાયા છે. તેમજ 24 કલાકમાં 93 હજાર 467 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 9.31 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.