રાજકોટમાં વધતા કોરોના કેસને લઇ રાજકોટ મનપાએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાજરકોટમાં મેડિકલ સ્ટોર્સમાં તાવ, શરદીની દવા લેનારાના પણ ટેસ્ટ કરવામાં આવશે.
આ સાથે જ દવા લેનારાની તમામ વિગતો ફરજિયાત લેવાશે. તાવ અને શરદીની દવા લેનારા વ્યક્તિનો મોબાઇલ નંબર અને સરનામુ ફરજિયાત લેવાશે. રાજકોટમાં વધતા કેસને લઇ મનપાની આરોગ્ય ટીમ કામે લાગી છે.
દવા લેવા આવનારના થશે કોરોના ટેસ્ટ
જો કે લોકો કહી રહ્યા છે કે રાજકોટ મનપા દ્વારા કોરોનાને લઇ કોઇ કામગીરી નથી કરવામાં આવી રહી. ઉલ્લેખનીય છે કે, મેડિકલ સ્ટોર્સ વોર્ડના મેડિકલ ઓફિસરો સાથે કો ઓર્ડિનેટ કરશે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલ રૂમ ઉભો કરાયો
રાજકોટમાં કોરોના દર્દીઓને સારી સારવાર ન મળતી હોવાની અનેક વખત ફરિયાદો સામે આવી છે. ત્યારે અંતે રાજકોટ તંત્ર દ્વારા આ ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે એક કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ આ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં દર્દી ખુદ સુવિધા અંગે ફરિયાદ કરી શકશે.
ઉલ્લેખનીય છે તે કે, આ કંટ્રોલ રૂમમાં 3 શિફ્ટમાં કર્મચારીઓ કામ કરશે. આ ઉપરાંત કંટ્રોલ રૂમની સાથે એક કલેક્શન સેન્ટર પણ શરૂ કરાયું છે. જેમાં કોરોના દર્દીઓના પરિવારજનો દ્વારા આપવામાં આવતા ભોજન સહિતના સામાન દર્દીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. અને જે દર્દીઓ પાસે સ્માર્ટફોન નથી જેથી તેઓ પોતાના પરિવારજનો સાથે વાત નથી કરી શકતા. તેમના માટે વીડિયો કોલિંગની સુવિધા પણ કંટ્રોલ રૂમ દ્વારા જ કરવામાં આવી છે.