સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે રાજકોટ મનપા હરકતમાં આવ્યું છે. રાજકોટમાં કોઈ ઘટના ન બને તે માટે RMC કમિશનર શાળા સંચાલકો સાથે બેઠક કરશે.
રાજકોટ શહેરની ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓને લઈને કમિશનરની બેઠક મળશે. આ બેઠક બાદ શહેરની તમામ ઈમારતોમાં પણ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. ઈમારત પર ડોમ મુદ્દે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, સુરતની દુર્ઘટના બાદ પછી સફાળા જાગેલા તંત્રએ ફાયર સેફ્ટીની સઘન તપાસ શરૃ કરતાં ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં 25 ટકા વધારો થયો છે. તંત્રની કડક કાર્યવાહી પછી જાગૃતતા આવી હોય તેમ ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા હોડ જામી છે.
ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતા ટયુશન કલાસ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો તેમજ કોર્મિશયલ કોમ્પલેક્ષની દુકાનો ઉપર તંત્રએ ઘોંસ બોલાવતાં ફાયર સેફ્ટીના સાધનોની માંગમાં વધારો થયો છે.