જન્માષ્ટમીના પર્વને લઈને રાજકોટમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં લોકમેળાનું અનેરૂ મહત્વ છે. ત્યારે આજે ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટ્યા હતા. રવિવારને રજાનો દિવસ હોવાથી વધુ સંખ્યામાં લોકો મેળામાં ઉમટ્યા. મેળામાં વિવિધ રાઈડ્સનો લોકોએ આનંદ માણ્યો. અત્યાર સુધી 5 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી.
68 કિલો અખાદ્ય સમાગ્રીનો નાશ કરાયો
રાજકોટના મલ્હાર લોકમેળામાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ચોથા દિવસે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ કરી અને 68 કિલો અખાદ્ય સામાગ્રીનો નાશ કરવામાં આવ્યો. ખાણીપીણીના 47 સ્ટોલ પર ચેકિંગ કરી અને 29 સ્ટોલ ધારકોને નોટિસ આપવામાં આવી હતી.
મેળામાં લાઈટીંગ બની આકર્ષણનું કેન્દ્ર
રેસકોર્સ ગાર્ડનમાં મલ્હાર લોકમેળાની રમઝટ જોવા મળી. મોડીરાતે મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટ્યા. આ મેળામાં લાઈટીંગ આકર્ષણનું કેન્દ્ર બની. અલગ અલગ રાઈડ્સની પણ શહેરીજનો મજા માણી રહ્યા છે.
ગુરૂવારે સીએમ રૂપાણીએ મેળાનો કરાવ્યો શુભારંભ
નોંધનીય છે કે, ગુરૂવારે સીએમ રૂપાણીએ મેળાની શરૂઆત કરાવી હતી. પ્રથમ દિવસે મેળાનો 50 હજારથી વધુ લોકોએ આનંદ માણ્યો હતો. મેળાના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળશે.
કોઈ અનિચ્છનીય ઘટનાને બને તેને લઈને તંત્ર પણ એલર્ટ છે. મેળામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસના 78 અધિકારી અને 1300થી વધુ કર્મચારીઓની ટીમ તૈનાત કરાી છે. મેળામાં CCTVથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ મેળામાં ફૂડ વિભાગની 5 ટીમ અને મેડિકલ ટીમ પણ જોડાઈ છે.