ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્યમાં લોકડાઉન 3 લાગુ કરવામાં આવ્યું છે. લૉકડાઉન 3ને લઈને રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જો કે રાજ્યમાં કોરોનાને લઇને પરિસ્થિતિ વધુ વણસતાં સરકાર દ્વારા લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ લોકડાઉનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના પાન-માવાના બંધાણીઓ પર જોવા મળી રહી છે. પાન-મસાલાની દુકાનો બંધ રહેવાને લઇને વેપારીઓ હાલમાં તમાકુ, સોપારી અને પાન-મસાલાની બેફામ કાળા બજારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં લોકડાઉન બાદ પણ નહીં ખુલે પાનની દુકાનો
શહેરમાં પાનની દુકાનો બંધ રહેતા બંધાણીઓ પરેશાન
તમાકુ, સોપારી અને મસાલાની બેફામ કાળા બજારી
રાજકોટમાં લોકડાઉન બાદ પણ પાનની દુકાનો ખુલશે નહીં. શહેરમાં પાનની દુકાનો બંધ રહેતા પાન-માવાના બંધાણીઓ પરેશાન થઇ ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દુકાનો ક્યારે ખુલશેની ચર્ચાઓ ચાલી રહી છે.
જો કે સૌરાષ્ટ્રમાં હાલ તમાકુ, સોપારી અને મસાલાની કાળા બજારી વધી રહી છે. સૌરાષ્ટ્રમાં 12 રૂપિયે વેચાતો મસાલો 50 રૂપિયે વેચાઇ રહ્યો છે. જ્યારે તમાકુના એક ડબ્બાના ભાવ 250 રૂપિયા હતા.જેની કિંમત હાલમાં 1000થી 1200 રૂપિયા છે.
રાજ્યમાં લોકડાઉનની સૌથી અસર પાન-માવાના બંધાણીઓ પર જોવા મળી રહી છે ત્યારે તમાકુની પડીકીના ભાવ 5 હતા જેના હાલમાં 25 થયા છે...બીડીના એક જુડીના ભાવ 20 હતા જે વધીને હાલમાં 150 થયા છે. દરેક નશાયુક્ત વસ્તુના ભાવ 3થી 5 ગણા વધી ગયા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મસાલાના બંધાણીઓ છે. ત્યારે લૉકડાઉન વચ્ચે કોઈપણ ઝોનમાં પાન-મસાલા(ફાકી) દુકાનને મંજૂરી નહીં મળતા મસાલાનો કાળો કારોબાર ધમધમતો થયો છે. જેથી પાન-મસાલાના કાળાબજાર અટકાવવા તંત્રએ ધ્યાન આપવું પડશે.