સમગ્ર વિશ્વમાં ધીમા પગલે આવી રહેલી મંદીની અસર જેતપુરના સાડી ઉદ્યોગ પર જણાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી સુસ્ત બની ગયેલા જેતપુર સાડી ઉદ્યોગને હવે વૈશ્વિક મંદીનો નવો માર સહન કરવાનો વખત આવ્યો છે. છેલ્લાં બે વર્ષમાં સાડી ઉદ્યોગમાં ટર્ન ઓવર ઘટીને છેક 50 % એ પહોંચી ગયું છે. જેના કારણે સાડી ઉદ્યોગ આધારિત મજૂરો પર બેકારીનો ભય તોળાઇ રહ્યો છે.
રાજકોટ જિલ્લાનું જેતપુર સાડી ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ
કોટન ક્રિન પ્રિન્ટ થઇને સમગ્ર દેશ અને વિશ્વભરમાં પહોંચે છે
મંદીથી મજૂરોની રોજી છીનવાઈ, બાળકોના શિક્ષણ અને જીવનનિર્વાહના ઉભા થયા પ્રશ્નો
રાજકોટ જિલ્લાનું જેતપુર સાડી ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીંથી કોટન ક્રિન પ્રિન્ટ થઇને સમગ્ર દેશ અને વિશ્વભરમાં પહોંચે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ ઉદ્યોગ મંદીના વમળમાં ફસાઈ ગયો છે. એક સમયે કારીગરો અને ઉત્પાદનથી ધમધમતા આ કારખાના હાલ સૂના સૂના ભાસી રહ્યા છે. જ્યાં 24 કલાક કારખાનું ચાલુ રહેતું હતું અને 50 કારીગરો કામ કરતા હતા તે હવે 20 કારીગરોથી ચાલી રહ્યા છે. મુંજાયેલ કારખાના માલિકોએ 50 % જેટલા કારીગરોને છુટા કરી દીધા છે.
મંદીના કારણો જોઈએ તો પ્રથમ નોટ બંધી અને ત્યાર બાદ GST લાગુ પડતાં સાડીની ડાઈંગ પ્રોસેસ પર તેની ગંભીર અસર પડી. GST લાગુ થતાં રો મટીરીયલના ભાવમાં પણ વધારો થયો. જેના કારણે સાડી છાપવામાં વપરાતા કલર, કેમિકલ, અને કપડાંના ભાવો વધતાં સરેરાશ રીતે બધું મોંઘુ થયું. જેના કારણને બજારમાં મોંઘા માલની માંગ ઘટતી ગઈ. ગત વર્ષની સરખામણી કરીએ તો અહીંનો વેપાર જે 3 હજાર 500 કરોડનો હતો તે ઘટી ને 1 હજાર 500 કરોડની આસપાસ થઈ ગયો છે.
એક સમયે દૈનિક 1 લાખ મીટર કાપડ છપાઈને તૈયાર થતું હતું તેની માત્રા હવે 50 હજાર મીટરની થઈ ગઈ છે. વળી કેમિકલ દ્વારા થતાં પ્રદુષણ ઉપર જીપીસીબીએ જ્યારથી કંટ્રોલ મૂક્યો ત્યારથી જ અહીં સાડી પ્રિશન્ટગનું 50 ટકા કામ ઠપ થઈ ગયું હતું.
બજારમાં સાડીઓના ઘટેલા વેપારની અસર અહીના કારખાના પર પડી છે. પહેલા અહીં સાડીના કારખાનાના એક સાડીના ટેબલનું ભાડું 1000 રૂપિયા હતું. કારખાનેદારોએ આ ભાડું ઘટાડીને માત્ર 300 રૂપિયા કરી નાખ્યું છે છતાં મંદીના કારણે કોઈ ઉત્પાદક સાડી પ્રિન્ટ કરવામાં ઉત્સાહ દાખવતા નથી. કારખાનેદારો પાસે વેપારના હોવાના કારણે અને તૈયાર માલની કોઈ માંગના હોવાના કારણે નાછૂટકે કારીગરોને છૂટા કરવા પડી રહ્યા છે.
જેતપુર સાડી ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે સૌથી વધારે કફોડી સ્થિતિ કારીગર વર્ગ પર પડી છે. હવે સાડી ઉદ્યોગમાં પૂરતું કામ ન મળવાના કારણે કારીગરો અને મજૂરો અન્ય રોજગારી શોધી રહ્યા છે. હવે દિવાળીના તહેવારો શરૂ થશે પરંતુ તે પહેલા કારીગરો અને મજૂરોની રોજી છીનવાઈ ગઈ છે. જેના કારણે કારીગરો બાળકોના શિક્ષણ અને જીવનનિર્વાહ કેમ ચલાવવો તેની દ્વીધામાં મૂકાયા છે. જેતપુરમાં સાડી ઉદ્યોગમાં મંદીના કારણે દિવાળીના તહેવાર ઉપર જ કારખાનાઓ ખાલીખમ દેખાઈ રહ્યા છે, જેને કારણે દિવાળી અને તે પછીના દિવસો ખૂબ ફિક્કા રહે તેવી શક્યતા છે.