રાજકોટઃ આજી નદીમાંથી બાળકનું માથુ મળી આવવાના મામલે નવો વળાંક આવ્યો છે. અજય નામનો ગુમ બાળક મળી આવતા નવો વળાંક આવ્યો છે. કારણ કે જે બાળકનું માથુ કપાયાની આશંકાએ તેના પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. તે બાળક અજય કુંબલિયાપરામાંથી મળી આવ્યો હતો.
મહત્વનું છે કે પોલીસે અજયની હત્યા થયાની આશંકાએ તેના પરિવારના 7 જેટલા સભ્યોની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન પરિવારજનોને માર પણ માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને કુબલિયાપરાના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કુબલિયાપરાના રહીશો પોલીસ કમિશ્નર કચેરીએ ઉમટી પડ્યા હતા. જેને લઈને ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. તો કચેરી નજીક રસ્તા બંધ કરવાની પણ પોલીસને ફરજ પડી હતી.
ત્યારે બાળકનું માથુ મળવાની ઘટનાને આજે ૬ દિવસ થઇ ગયા આમ છતાં પણ પોલીસ હજુ સુધી મહત્વની કડી સુધી પહોચી શકી નથી. ત્યારે આ ઘટનાને લઇને પોલીસને જે બાળક ગુમ થયાની શંકા હતી. તે અજય ઉર્ફે સમોસો હેમખેમ મળી આવતા આ કેશને લઇને પોલીસ ફરી મુંજવણમાં મુકાઇ છે. ત્યારે અજયના પરિવારજનો દ્વારા તેમને પોલીસ દ્વારા માર માર્યાના આક્ષેપ સાથે પોલીસ કમિશ્નર કચેરી બહાર ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ બાદ પણ મામલો થાળે ના પડતા પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો.
ત્યારે અનેક સવાલો ઉપજે છે કે પોલીસે કેમ ખોટા પરિવારની અટકાયત કરી ? ગૂમ થયેલો બાળક તો મળી આવ્યો પણ મૃતકની ઓળખાણ ક્યારે ? શું પોલીસે પરિવારજનોને ગુનો કબુલ કરાવવા માર માર્યો ? કેમ નિર્દોષ પરિવારના લોકોને પોલીસે માર માર્યો ? શું પોલીસે સાચા આરોપીને ઝડપવાને નિર્દોષને રંઝાડ્યા ?