દેશમાં સૌથી વધુ મ્યુકર્માઈકોસિસના ઓપરેશન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા છે, તેમજ ડિસ્ચાર્જ બાદ દરેક દર્દીને સારવાર કરવામાં આવે છે
રાજકોટમાં સૌથી વધુ 4 હજાર મ્યુકર્માઈકોસિસના કેસ
દેશમાં સૌથી વધુ મ્યુકર્માઈકોસિસના ઓપરેશન રાજકોટમાં કરાયા
આજે એકપણ મ્યુકર્માઈકોસિસનો દર્દી દાખલ નથી
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સૌથી વધુ મ્યુકર્માઈકોસિસના 4,000થી વધુ કેસ સામે આવ્યા હતા. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 1,000 જેટલા મ્યુકર્માઈકોસિસના કેસ આવ્યા હતા. જે માંથી 800 જેટલા મ્યુકર્માઈકોસિસના ઓપરેશન કરી દર્દીને સારવાર આપીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ મ્યુકર્માઈકોસિસના ઓપરેશન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા છે. તેમજ ડિસ્ચાર્જ બાદ દરેક દર્દીને સારવાર કરવામાં આવે છે. તેમજ તેમની પાસેથી ફોલોપ લેવામાં આવે છે. એક સમયે સમસર હોસ્ટેલ ખાતે 500 દર્દી દાખલ હતા. આજેએક પણ દર્દી દાખલ નથી. તેમજ ઓપરેશન બાદ પણ દર્દી રિલેપ્સ એટ્લે કે ફરિયાદ કરવા રિટર્ન આવ્યા નથી તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યુ હતું.
જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.