રંગીલા રાજકોટના રંગીલા વાઈફાઈમાં શું ભ્રષ્ટાચાર થયો છે? શું તમે જાણો છો કે રાજકોટમાં તમામ ગાર્ડન, આજીડેમ, ન્યારીડેમ સહિતના ફરવાના સ્થળે ફ્રીમાં વાઈફાઇ મળે છે. રાજકોટ મનપા દ્વારા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ઠેરઠેર વાઇફાઇ નાખવામાં આવ્યા છે. હવે આજ વાઇફાઇ મામલે મનપાના કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે મનપા દ્વારા નાખવામાં આવેલ વાઈફાઇમાં ભ્રષ્ટાચાર થયો છે. તો બીજી તરફ મનપાના શાસક પક્ષ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરએ કરેલ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા તેમજ જો વાઇફાઇમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સાબિત કરી નહીં આપે તો રાજીનામું આપે તેવી માંગ કરતાં રાજકોટ મનપાનું રાજકારણ ગરમાયું છે.
શુ મનપાના વાઇફાઇમાં ભ્રષ્ટાચાર થયો છે ?
રાજકોટ વોર્ડ 3ના કોંગ્રેસના કોર્પોરેટર દિલીપ આસવાણીએ મનપા દ્વારા જાહેર સ્થળોએ લગાવવામાં આવેલ વાઇફાઇમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું આક્ષેપ કર્યો છે. દિલીપ આસવાણીએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાના ખર્ચે મનપા દ્વારા વાઇફાઇ નાખવામાં આવ્યા છે. જાહેર સ્થળો પર લોકો ઈન્ટરનેટનો ફ્રીમાં ઉપયોગ કરી શકે તે માટે નાખવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી દિલીપભાઈ દ્વારા મનપાએ નાખેલ વાઇફાઇ કઈ કંપનીના છે, કેટલી સ્પીડ આવે છે, એક વાઇફાઇ પાછળ કેટલો ખર્ચ થયો છે. વાઇફાઇમાં લાખો ખર્ચ્યા છે તો કેટલા લોકો લાભ લે છે તેની વિગતો અવારનવાર મંગાવવા છતાં તેમણે મનપા વિગતો આપવામાં આવી ન હતી. જેનું મુખ્ય કારણએ છે કે મનપાના પદાધિકારીઓના લાગતા વળગતાને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એક મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.
વિપક્ષ ભ્રષ્ટાચાર સાબિત કરે નહીં તો રાજીનામુ આપેઃ શાસક
તો મનપાના કોર્ગ્રેસના કોર્પોરેટરે કરેલ વાઇફાઇ ભ્રષ્ટાચાર આક્ષેપ મામલે શાસક પક્ષ દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરવામાં આવી હતી. તેમજ શાસક પક્ષના ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર કરેલ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમજ જો ભ્રષ્ટાચાર સાબિત કરી નહીં આપે તો કોંગ્રેસના કોર્પોરેટરે રાજીનામુ આપવું જોઈએ તેમ જણાવતા રાજકોટ મનપાનું રાજકારણ ગરમાયુ છે.
હાલ તો રાજકોટના જાહેર સ્થળોએ મનપા દ્વારા નાખવામાં આવલે વાઇફાઇમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મામલે રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે આગામી સમયમાં વાઇફાઇની છુપાવતી વિગતો મામલે વિપક્ષ દ્વારા મનપા કમિશ્નરને રજુઆત કરવામાં આવશે છતાં પણ વિગતો નહીં મળે તો મનપા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ભ્રષ્ટાચાર ખુલ્લો તેવી ચીમકી કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આપવામાં આવી હતી ત્યારે હવે જોવું એ રહ્યું કે શું ખરેખર મનપાના વાઇફાઇમાં હાઈફાઇ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ?