સ્વદેશી વેન્ટિલેટર ધમણ ફરી એક વિવાદોના વમળમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગી હોવાની શંકાને લઇને ફરી સવાલોના ઘેરામાં આવ્યું છે. ધમણની નજીક આગ લાગ્યાનું ડોકટરે સ્વીકારતા ફરી પ્રશ્નો સર્જાયા છે.
જો કે આ અગાઉ વિવાદના કારણે રાજ્ય સરકારે ધમણ વેન્ટિલેટર વાપરવાનું બંધ કર્યું છે. તેમ છતાં હજુ કેટલીક ખાનગી હોસ્પિટલ ધમણ વેન્ટિલેટર વાપરી રહી છે. હાલ રાજકોટમાં જે હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયો ત્યાં પણ ધમણ વેન્ટિલેટર હતું.
વડોદરામાં એસ.એસ.જી હોસ્પિટલમાં ધમણને કારણે આગ લાગી હતી. એસ.એસ.જીના તત્કાલિન સુપ્રિડેન્ટે આગ માટે ધમણને કારણભુત ગણાવ્યું હતું. જ્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં પણ ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગી હતી.
આમ ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગતા વેન્ટિલેટરની બનાવટ પર પ્રશ્નો સર્જાયા છે. શું ધમણને કારણે લોકોની જિંદગીને દાવ લગાડવામાં આવે છે ?
કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાનો ગંભીર આરોપ
કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ધમણ વેન્ટિલેટરને લઇને ગંભીર આરોપ લગાવ્યો છે. ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગી હોવાની આશંકા છે, ત્યારે સમગ્ર મામલે ન્યાયિક તપાસની માગ કરી છે. અગાઉ પણ ધમણમાં આ પ્રકારનો બનાવ બન્યો. જો વાત સાચી હોય તો તમામ ધમણ પરત ખેંચી લો.
રાજકોટની ઉદય હોસ્પિટલમાં અગ્નિકાંડને લઇને ફરી ધમણ વેન્ટિલેટર વિવાદમાં આવ્યું છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ડૉ.તેજશ કરમટાએ મોટું નિવેદન કર્યું છે. તેમને કહ્યું કે L&T અને ધમણ વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થયો હોવાનો અંદાજ છે. ઈલેક્ટ્રોનિક ગેજેટમાંથી આગ લાગી હતી. બેડ પાસેથી સ્પાર્ક થયો હતો. ICUમાં 3 કંપનીના વેન્ટિલેટર હતા. આગમાં સપડાયેલા 21 દર્દીઓની તબિયત સારી છે. મહત્વનું છે કે ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5 લોકોના મૃત્યુ થયા છે. જેની SIT દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
ACS એ.કે.રાકેશે શું કહ્યું?
રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. અધિકારીઓ સાથે બેઠક બાદ ACS એ.કે.રાકેશે કહ્યું કે FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ અપાશે. ઇલેક્ટ્રીકલ એન્જિનિયરના રિપોર્ટ પણ આવવાનો બાકી છે. FSLના રિપોર્ટ બાદ સ્પાર્કનું સાચુ કારણ બહાર આવશે. ક્યા વેન્ટિલેટરમાંથી સ્પાર્ક થયો તે ચોક્કસ કહી શકાય નહીં. ઓક્સિજન લીકેજની પણ શક્યતાને નકારી શકાય નહીં. સમગ્ર ઘટનાનો ફાઈનલ રિપોર્ટ બે દિવસમાં આવશે. વાયરિંગ પ્રોપર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચોક્કસ કારણ બાદ ઉદય કોવિડ હોસ્પિટલ સામે કાર્યવાહી થશે.
કોંગ્રેસ નેતા જયરાજસિંહની પ્રતિક્રિયા
ધમણ વેન્ટિલેટરને લઇને કોંગ્રેસ નેતા જયરાજસિંહની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ધમણ બેઝિકલી વેન્ટિલેટર જ નથી, પરંતુ ગુજરાત સરકારે તેને મંજૂરી આપી છે. ધમણ વેન્ટિલેટરને લઇ કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યાં છે. રાજ્યમાં લોકોને મારવા ધમણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધમણના કારણે અનેક લોકોએ જીંદગી ગુમાવી.