લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલુ છે ત્યારે મુખ્યમંત્રીનાં હોમ ગ્રાઉન્ડ રાજકોટમાં જિલ્લાભરનાં ખેડૂતોએ પાકવીમા મુદ્દે સરકારની બેદરકારી સામે વિરોધનું બ્યૂગલ ફૂંકી દીધું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પાક વિમા મુદ્દે ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવાં મળી રહ્યો છે ત્યારે ભાજપની ભગિની સંસ્થા કિસાન સંઘ દ્વારા જિલ્લાભરનાં ખેડૂતોનાં ઉગ્ર દેખાવે ચૂંટણી પ્રચાર કરી રહેલાં નેતાઓમાં ચિંતા ઊભી કરી છે.
દેશમાં લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે. આ અનુસંધાને જ્યારે પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન થઈ રહ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી મોદીનાં હોમસ્ટેટ ગુજરાતનાં પાટણમાં અને રાજ્યનાં મુખ્યમંત્રીનાં હોમ ગ્રાઉન્ટ રાજકોટમાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમા વટાવી રહ્યો હતો. અહીં તસ્વીરો ગુજરાતમાં કાળઝાળ ઉનાળામાં જગતનાં તાતનાં આક્રોશનાં ઉકળેચા ચરુને બયાં કરી રહી છે.
અહીં તસ્વીર સૌરાષ્ટ્ર ભરનાં ખેડૂતોમાં પાકવીમો મળવામાં થયેલાં અન્યાય સામે ઊભા થયેલાં આક્રોશને વ્યક્ત કરી રહી છે. રાજકોટમાં ખેડૂતોએ પોતાનાં માંગણી સાથે સરકાર સામે બાથ ભીડવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે સરકારનાં ઈશારે આંદોલન ડામી દેવાનો પ્રયાસ કર્યો. અંતે જગતનાં તાત અને પોલીસ વચ્ચે જપાજપી સર્જાઈ. બીજી બાજુ તસ્વીર પાટણનાં રાધનપુર-સાંતલપુર તાલુકાનાં ખેડૂતોમાં જમીન સંપાદન મામલે વ્યાપેલાં રોષને દર્શાવી રહી છે. નર્મદા કેનાલની જમીન સંપાદનમાં ગયા બાદ દસ-દસ વર્ષ સુધી વળતર ન મળતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજીને રાધનપુર મામલતદારને વેદનાનો પત્ર પાઠવ્યો હતો. આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ ગયું છે.
ગુજરાત સહિત આખા દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટ સહિત આસપાસનાં ખેડૂતો સરકાર સામે લડી લેવાનાં મૂડમાં દેખાઇ રહ્યાં છે. આજે રાજકોટ સહિત ખેડૂતોએ પાક વિમા મુદ્દે કિસાન સંઘનાં નેજા હેઠળ રેલીનું આયોજન કર્યું હતું. સરકારની નામંજૂરીને ઉપરવટ જઈને ખેડૂતોએ રેલી પણ યોજી અને સભા પણ કરી. કેમ કે, પાક વીમા મુદ્દે ખેડૂતોમાં આક્રોશ જ એટલો હતો કે આજે તમને કોઈનું સાંભળવું ન હતું.
માત્ર પોતાની વેદના જ સંભળાવવી હતી. આથી, રાજકોટ જિલ્લાનાં તમામ ખેડૂતોએ રેલી બાદ સભાનું પણ આયોજન કર્યું હતું. રેલીને મંજૂરી ન મળી હોવાં છતાં રેલી યોજાતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ. 35થી વધુ ખેડૂતોની અટકાયત કરાઈ. અનેક ખેડૂતોને ટીંગાટોળી કરીને પોલીસ વેનમાં લઈ જવામાં આવ્યાં. પોતાનો અવાજ દબાવાતા હતપ્રભ બનેલાં 36 જેટલાં ખેડૂતોએ રાષ્ટ્રપતિને અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગ કરી દીધી.
ખેડૂતોની એવી માંગણી છે કે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ખેડૂતો પ્રિમિયમ ભરતા હોવાં છતાં અને તાલુકા કાયદેસર રીતે અછતગ્રસ્ત જાહેર થયાં હોવાં છતાં વીમા કંપનીઓ ખેડૂતોને પાકવીમાની પૂરતી રકમ ચૂકવવામાં ગલ્લાં-તલ્લાં કરી રહી છે. ખેડૂતોનો આક્રોશ પાક વીમા કંપનીઓ સામે છે. કેમ કે, જગતનાં તાતને ક્રોપ કટિંગમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. વીમા કંપની પર ખેડૂતોનાં આક્ષેપનું કારણ એ છે કે, ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. એટલે કે, દર 100માંથી 6.82 ટકા ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે.
વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયા ખેડૂતો પાસેથી પ્રિમિયમ પેટે ખંખેરી લીધાં છે. જંગી પ્રિમિયમ સામે માત્ર રૂ.325 કરોડની જ વીમા વળતર રકમ જ મંજૂર કરી છે. આ મંજૂર થયેલી રકમમાંથી પણ વીમા કંપનીઓએ માત્ર રૂ.142.7 કરોડ રૂપિયા જ વીમાનાં વળતર પેટે ખેડૂતોને ચૂકવ્યાં છે. પરંતુ તેની સામે વીમા કંપનીઓએ માત્ર ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 18 લાખ 42 હજાર ખેડૂતોએ ખરીફ પાક માટે વીમો લીધો હતો. ગુજરાતમાં હેક્ટર દીઠ સરેરાશ રૂપિયા 8980 પ્રિમિયમ ચુકાવાયું હતું. જેની સામે વીમા કંપનીઓએ માત્ર અત્યાર સુધી 142.7 કરોડનો વીમો ચૂકવ્યો છે. જેથી જે ખેડૂતોને હજુ પણ પોતાનું પાકવીમા વળતર નથી મળ્યું તેવાં ખેડૂતો રેલી યોજી આક્રોશની ભાષામાં રેલી વેદના વ્યક્ત કરી હતી.
ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે, સરકારે પણ અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવામાં ભેદભાવ કર્યો છે. ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, તેઓએ રાજકીય કિન્નાખોરી રાખી કેટલાંક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરાયાં નથી. ક્રોપ કટિંગમાં પણ ભેદભાવ રખાયાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યાં છે. રાજ્યમાં હવે ચૂંટણી યોજાવાને થોડાંક દિવસો બાકી છે ત્યારે ખેડૂતોની નારાજગી ખાળવી જરૂરી બની ગઈ છે.