વિવાદ બાદ પ્રથમવાર રાદડિયા અને ઢાંકેચા એકસાથે દેખાયા
જયેશ રાદડિયા અને નીતિન ઢાંકેચાનું સર્કિટ હાઉસ ખાતે મિલન
રાજકોટ જિલ્લામાં ડિસ્ટ્રીકટ બેંકની ભરતીમાં ભષ્ટ્રાચારના આક્ષેપ પ્રતિઆક્ષેપો વચ્ચે પ્રથમવાર રાદડિયા અને ઢાંકેચા એકસાથે જોવા મળ્યા હતા. જયેશ રાદડિયા અને નીતિન ઢાંકેચાનું સર્કિટ હાઉસ ખાતે મિલન થયું હતું. તેમની સાથે જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયા પણ સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ બંન્ને જૂથે બેંકમાં ભરતીને મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા.. અને બેંકમાં ભરતીમાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે વાત છેક ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુધી પણ પહોંચી હતી.
શું બંને વચ્ચે મામલો થાળે પડી ગયો?
હજુ તો ગયા અઠવાડિયામાં જ રાદડિયા વિરુદ્ધ ઢાંકેચાનું ગ્રુપ બળાપો ઠાલવી ચૂક્યું છે. ત્યારે આ મુલાકાત, વધતાં રોષ અને ચૂંટણી પહેલા નુકસાન ન થાય તેને ખાળવા છે કે પછી નીતિન ઢાંકેચાને મનાવવા પ્રયાસ છે તેની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઓચિંતી મુલાકાતના વીડિયોમાં સ્પષ્ટ રીતે બંનેના ચહેરાના હાવભાવમાં કઈંક મામલો થાળે પાડવાનું આયોજન થયું હોય તેવુ સ્પષ્ટ જણાઈ આવે છે.
હાઇકોર્ટમાં રીટ દાખલ થઈ છે
નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજાના જૂથે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જયેશ રાદડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સમગ્ર મામલે મધ્યસ્થી કરવા ભાજપના મોવડી મંડળને રજૂઆતો કરી હતી. પણ કોઈ યોગ્ય નિવડો ન આવતા રાજકોટ જિલ્લા સહકારી બેંકની ભરતીમાં ભ્રષ્ટાચારનો કેસમાં હવે નીતિન ઢાંકેચા જૂથે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે.
પ્રદેશ ભાજપ તરફથી કોઇ મધ્યસ્થી ન થતાં હાઈકોર્ટના શરણે: નીતિન ઢાંકેચા, ભાજપ સહકારી આગેવાન
ગત અઠવાડિયે કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્ટેટ રજિસ્ટ્રાર, નાબાર્ડ તેમજ રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક અને સહકાર સચિવને નોટિસ ફટકારી છે.5 જુલાઇ સુધી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.ભાજપના સહકારી આગેવાન નીતિન ઢાંકેચાએ નિવેદન આપતા કહ્યું છે કે પ્રદેશ ભાજપ તરફથી કોઇ મધ્યસ્થી કરાઇ નથી.અમે આ અંગે અનેક વખત સરકારને રજૂઆત કરી છે. પણ કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી. ભરતી કૌભાંડમાં ન્યાય મળે તેવી માંગણી સાથે ઢાંકેચાએ કહ્યું હતું કે ભરતીમાં સારા હોશિયાર છોકરાઓને લેવામાં પરીક્ષા પધ્ધતિથી લેવામાં આવે.સાથી આગેવાન હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે આમારી પાસે ભરતી કૌભાંડના સ્ફોટક પુરાવા છે. જરૂર પડશે એટલે કોર્ટમાં રજૂ કરી સમગ્ર ખેલ ઉઘાડો પાડીશું.
શુ છે સમગ્ર મામલો ?
આપણે જણાવી દઈએ કે ભાજપના જ નેતાઓ રાદડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે. જિલ્લા બેંકના પ્યુનની ભરતમાં કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ સાથે અગાઉ ગાંધીનગર ખાતે નીતિન ઢાંકેચા સહીતના ભાજપ નેતાઓ રજૂઆત કરી હતી. જેમાં તેમનો આરોપ હતો કે પ્યુનની ભરતીમાં રાદડિયા રૂ. 45 લાખ લઈ ભરતી કરી રહ્યા છે. જાહેર ખબર આપ્યા વગર તેમજ રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વગર ભરતી કરાઈ હતી. વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે 3 માસના રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરી હતી જે બાદ કોઈ પણ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર એક વર્ષ બાદ પ્યુનને કાયમી કરી નાખવામાં આવ્યા છે. પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્કનુ પ્રમોશન પણ આપી દેવાયું છે.