રાજ્યમાં એક તરફ પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની ખેડૂતોની માંગણી યથાવત છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં પણ સિંચાઇ માટે વીજળીને લઇને ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ધોરાજીમાં સિંચાઇ માટે વીજળીને લઇને ખેડૂતોમાં ઉગ્ર રોષ
ખેડૂતોએ ખેતરમાં બેસીને CM અને કૃષિમંત્રીને લખ્યો પત્ર
ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
રાજકોટના ધોરાજીમાં સિંચાઇ માટે વીજળીને લઇ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ ખેતરમાં બેસીને પોતાની સમસ્યા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમજ કૃષિમંત્રીને પણ ખેડૂતોએ પત્ર લખીને રજૂઆત કરી છે. ખેડૂતોએ 4 દિવસના અલ્ટીમેટમ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જો વીજળી નહીં મળે તો PGVCL કચેરીને તાળાબંધી કરવાની પણ ખેડૂતોએ ચીમકી આપી છે.
બનાસકાંઠામાં પણ પૂરતી વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ ધર્યા હતાં ધરણાં
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ બનાસકાંઠામાં પણ પૂરતી વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ ધરણાં ધર્યા હતાં. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. જેને આગામી સમયમાં મોટા આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે.
ગુજરાત મોડલની વાતો વચ્ચે હાલમાં તો સરહદી વિસ્તારમાં પીવાનાં પાણી માટે લોકો પડાપડી કરતાં હોવાના અહેવાલ સામે આવ્યો છે. જેમાં વાવ પંથકમાં મહત્તમ તાપમાનો પારો 40 ડિગ્રીની પાર પહોંચ્યો છે. ત્યારે વાવના ચોથાનેસડા ગામે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. ચોથાનેસડા ગામમાં છેલ્લા 10 દિવસોથી પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોએ પીવાનાં પાણીને લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી હતી. છતાં પીવાનું પાણી નહીં મળતાં મહિલાઓ સહિત નાનાં નાનાં બાળકોએ પણ દૂર દૂર સુધી ભટકવું પડે છે.
આમ, ઉનાળો શરૂ થતાની સાથે પીવાના પાણી માટે વાવના ચોથાનેસડા ગામે પીવાના પાણી માટે લોકો રઝળપાટ કરી રહ્યાં છે. ત્યારે ગ્રામજનોમાં સમયસર પૂરતું પાણી ન મળતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો આગામી બે દિવસોમાં સમગ્ર ગામમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં પાણી મુદ્દે સરકાર સામે ઉગ્ર આંદોલન કરીશું જેવી ચિમકી ઉચ્ચારી હતી.
જૂનાગઢના પ્રભાતપુરમાં પણ અપૂરતા વીજ પૂરવઠાથી ખેડૂતો પરેશાન
આ સાથે જ જૂનાગઢના પ્રભાતપુર ગામમાં પણ છેલ્લાં 4 દિવસથી વીજ પુરવઠો ન અપાતા ખેડૂતો ભારે હાલાંકી ભોગવી રહ્યાં છે. ખેડૂતોએ PGVCLના ઈજનેરને વકીલ મારફતે નોટિસ ફટકારી હતી. જેમાં તાત્કાલિક એકર દીઠ 25 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે, પૂરતી લાઈટ ન મળતા પાકને પિયત આપી શકાતું નથી. છેલ્લાં 4 દિવસથી વીજ પુરવઠો ન મળતા તેમના પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.