રાજકોટ વીંછીયા તાલુકામાં સૌથી મહત્વની સૌની યોજનામાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. બંધાળીમાં ચાલતા સૌની યોજના લિંક-2ના કામમાં ખુલ્લેઆમ મોટો ભ્રષ્ટાચાર થયો છે. ખાનગી કંપનીની ખોખલી કામગીરીનો પર્દાફાશ ગામના લોકોએ કર્યો છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પાઈપલાઈનમાં થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.
પાઈપલાઈનની ઉંડાઈ નિયમ અને જરૂરીયાત મુજબ કરવામાં આવી નથી. ગટરમાં પાઈપલાઈનની નીચે નિયમ મુજબ લોખંડ પાથરવાનું હોય છે. ત્યારે ખાનગી કંપનીના બાબુઓ દ્વારા અમુક જગ્યાએ જ લોખંડ નાંખવામાં આવ્યુ છે અને કાંકરી સિમેન્ટનો માલ વાપરવાનો હોય તે જગ્યાએ માટી પથરા વાપરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટ બાબુઓ કોન્ટ્રાકટરો કામની જગ્યાએ પોતા ખિસ્સા ભર્યા છે. પાઈપલાઈન પર અધિકારીઓએ માટી પથરા નાખી દાટી દેવામાં આવી છે. તો આવા ભ્રષ્ટ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે ગામના લોકોએ કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.
જો કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ગામના લોકો ભેગા થઇને કામગીરી અટકાવશે. ભ્રષ્ટાચારની કામગીરીને લઈને ગામના લોકોએ રાજકોટ કલેક્ટર કચેરી ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. બંધાળી ગામની સીમમાં સૌની યોજના લિંક-2નું કામ ખાનગી કંપની ચલાવી રહી છે.