રાજકોટમાં આશરે 2,466 જેટલા જર્જરિત મકાનોને મનપા દ્વારા ફટકારવામાં આવી નોટિસ, જો મકાનધારકો ખાલી નહીં કરે તો, મનપા દ્વારા ખાલી કરાવવામાં આવશે
રાજકોટ મનપા તંત્ર આવ્યું હરકતમાં
2,466 જર્જરિત મકાનોને નોટિસ ફટકારવામાં આવી
વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 1,130 જર્જરિત આવાસો
જર્જરિત મકાનોને લઈ રાજકોટ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. આશરે 2,466 જર્જરિત મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 1,130 જર્જરિત આવાસો છે. સેન્ટ્રલ ઝોનમાં 590, ઇસ્ટ ઝોનમાં 746 જર્જરિત મકાનો છે. ચોમાસામાં દુર્ઘટના ન સર્જાય તે માટે અગાઉ જ પ્રયાસો શરૂ કરી દેવાયા છે. મકાન ખાલી કરવા માટે મકાનધારકોને સૂચના પણ આપી દેવાઈ છે. મકાનધારકો મકાન ખાલી નહીં કરે તો, મનપા મકાન ખાલી કરાવશે.
મહત્વનું છે કે, ચોમાસા પહેલા કોર્પોરેશન દ્વારા આ બધી કામગીરીઓ કરવાની રહેતી હોય છે. જેમાં ગટર, રસ્તા અને મકાન વિભાગ દ્વારા જર્જરિત પુલ અને રહેણાક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટ દ્વારા પ્રિ-મોનસુનની કામગીરીમાં જર્જરિત મકાનોના ધારકોને ચેતવણી સાથે નોટિસ પણ આપી દેવાઈ છે.
સુરતમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી
મહત્વનું છે કે ગઈકાલે સુરતમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. રાંદેર ટાઉનમાં આવેલા વખારવલી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. SMCના વેસ્ટ ઝોનની ગંભીર બેદરકારી સામે આવી હતી. વખારવલીમાં અન્ય બે થી ત્રણ મકાન પણ જર્જરિત થયા છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં જાનહાનિ કે ઇજા ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.