રાજકોટ મનપાના એડી. આસી. એન્જીનીયર પરેશ જોષીનો ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત, ડેમના ચોકીદારે કહ્યું કોઈની સાથે જોર જોરથી ફોનમાં વાત કરતાં હતા પછી ડેમમાં કુદી ગયા'
ગુજરાતમાં વધુ એક આત્મહત્યાનો બનાવ
રાજકોટ મનપાના એડી. આસી એન્જીનીયરે કરી આત્મહત્યા
અધિકારીઓની ત્રાસદી આપઘાતનું પ્રાથમિક કારણ?
રાજકોટમાં આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા હોય તેમ અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટ મનપાના એડીશનલ આસી. એન્જીનીયરે ન્યારી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. જોકે આપઘાતનું કારણ અકબંધ છે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક લાગણી ફળી વળી છે.
ઈસ્ટ ઝોન કચેરીમાં એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર તરીકે હતા ફરજમાં
આ બનાવ અંગે વાર વાત કરવામાં આવે તો રાજકોટમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને ઈસ્ટ ઝોન કચેરીમાં એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં પરેશભાઈ ચંદ્રકાંતભાઈ જોષી નામના 45 વર્ષના પ્રૌઢે કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમમાં ઝંપલાવી લીધું હતું. આ ઘટના અંગે કાલાવડ રોડ ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફને ભારે જહેમત બાદ એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર પરેશ જોષીનો મૃતદેહ મળતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવીહતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
'કોઈની સાથે જોર જોરથી ફોનમાં વાત કરતાં હતા પછી ડેમમાં કુદી ગયા'
આ બનાવ અંગે તાલુકા પોલીસ મથક પોલીસે આપઘાતનું સાચુ કારણ જાણવા કાનૂની તપાસ હાથ ધરી છે. ન્યારી ડેમના ચોકીદારે જણાવ્યું છે કે તે કોઇની સાથે જોરજોરથી ફોનમાં વાત કરતાં હતા, કોની સાથે અને કયા મુદ્દા પર વાત થતી હતી તેનો ખ્યાલ ન હતો પણ તેમનો અવાજ દૂર સુધી સંભળાતો હતો. જે બાદ તેઑએ કારમાંથી ઉતરી સુધી ડેમમાં ઝપલાવ્યું હતું. જે પછી પોલીસને જાણ કરવામાં આવતા ખબર પડી હતી કે આપઘાત કરનાર વ્યક્તિ રાજકોટ મનપાના એન્જિનિયર પરેશભાઈ હતા.
પાંચ દિવસથી ટેન્શનમાં હતા
પ્રાથમિક પૂછપરછમાં પરેશભાઈ જોષી ઈસ્ટ ઝોન કચેરીમાં એડીશ્ર્નલ આસીસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પૂત્રી છે. છેલ્લા પાંચેક દિવસથી પરેશભાઈ જોષી ટેન્શનમાં રહેતા હોવાનું અને આજે મોબાઈલ ફોનમાં કોઈકની સાથે ઉગ્રતાથી વાત કરતા કરતા ઘરેથી નિકળી ગયા બાદ ન્યારીડેમમાં ઝંપલાવી આત્મઘાતી પગલુ ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.