લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સહકારી ક્ષેત્રે ધરાવે છે મોટું નામ
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એકવાર ફરી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો ભાજપમાં જોડાયા છે. જેમાં રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ ભાજપમાં જોડાયા છે. તો લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજા પણ ભાજપમાં સામેલ થયા તો બીજી બાજુ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પણ ભાજપમાં જોડાયા છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે.
તમને વધુમાં જણાવી દઇએ કે, નરેન્દ્રસિંહ જાડેજા કે જેઓ સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રભારી વિનોદ ચાવડા અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની હાજરીમાં ખેસ ધારણ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયતના સભ્યો હિતેશ ખૂંટ, બોદુ કેસરિયા અને મિલન દાફડા પણ ભાજપમાં જોડાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 30, 2022
મહત્વનું છે કે, શહેરના હેમુગઢવી હોલ ખાતે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક 150 જેટલાં આગેવાનો ભાજપમાં જોડાયા છે. પરંતુ મંચ પર ભાજપના જ નેતાએ ભગો કરતા સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. રાજકોટ ભાજપના સહકારી આગેવાન બાબુ નસીતની સ્ટેજ પર જીભ લપસી ગઇ હતી. તેઓએ નિવેદન આપતા કહ્યું હતું કે, 'આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે.' જેના લીધે હોલની અંદર ભાજપના અને કોંગ્રેસના આગેવાનો ખડખડાટ હસી પડ્યા હતા.
150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા
જો કે, બાબુ નસીતના આ નિવેદન બાદ સ્ટેજ પરથી સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું હતું કે, 'એ ભાઈ..કોંગ્રેસ નહીં ભાજપમાં જોડાશે.' તુરંત ભાજપ નેતા બાબુ નસીતે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સંજય ખૂંટ અને મયૂરસિંહ જાડેજા છેલ્લાં દસેક દિવસથી ભાજપમાં ભળવા માટેની તૈયારી કરી રહ્યાં હતા. તેઓએ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સાથે બેઠક પણ કરી હતી. રાજકોટ લોધિકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસિત સહિતના નેતાઓએ આ મામલે ઝંપલાવી ઓપરેશન હાથ ધર્યું હતું અને બંનેની સાથે પંચાયતના સભ્યો પણ ખેડવવા પ્રયાસ કર્યા હતા.