લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાઇ શકે છે. ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાશે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહિત 8 કોળી પટેલ સભ્યો ભાજપમાં જોડાશે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના 14 જેટલા સભ્યો ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. સભ્યોને ભાજપમાં જોડવા માટે નિલેશ વિરાણીએ મોહન કુંડારીયા સાથે પડધરીમાં બેઠક કરી હતી. તો આ સભ્યોને ભાજપમાં લાવવાની જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી છે. જેને લઈને કુંવરજી બાવળિયાએ પણ બંધ બારણે મીટિંગો શરૂ કરી છે.
રાજકોટમાં કોંગ્રેસના બાગી સભ્યો મામલે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઉપલી કોર્ટે તેમની રીટ કાઢી નાખી છે. બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કર્યા છે અને તે લોકોને સમાધાન કરવુ છે પણ અમે ના પાડી છે. ખાટરિયાએ ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, તે લોકો બચવા માટે ભાજપમાં જઈ રહ્યા છે, ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ લોકો બીજી વખત ભાજપનો ખેસ પહેરશે. આમાંથી 8 સભ્યો એકવાર ભાજપનો ખેસ પહેરી ચૂક્યા છે. કોંગ્રેસ પાસે 22 જિલ્લા પંચાયતના સભ્યો છે. ભાજપ જિલ્લા પંચાયત તોડવાના પ્રયત્નો કરે છે. ભાજપ ક્યારેય જિલ્લા પંચાયત તોડી નહીં શકે.