લાખોનો પગાર હોવા છતાં અધિકારીએ કઢાવ્યું આયુષ્માન કાર્ડ
આયુષ્માન કાર્ડ દ્વારા અધિકારીના પત્નીએ MRI પણ કરાવ્યું
સરકારે ગરીબોને મફતમાં સારવાર આપવા આયુષ્માન કાર્ડની સેવા શરૂ કરી છે. નહીં કે અમીર લોકો માટે. પરંતુ કેટલીક વાર અનેક વખત અમીરો પણ આ સેવાનો લાભ લેતા હોવાનું સામે આવતું હોય છે. ત્યારે રાજકોટ સિવિલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડ હિતેન્દ્ર ઝાંખરીયાએ પણ આયુષ્માન કાર્ડ કઢાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેઓને વાર્ષિક લાખો રૂપિયાનો પગાર હોવા છતાં હિતેન્દ્ર ઝાંખરીયાએ કાર્ડ કઢાવી પોતાની પત્નીનું MRI કરાવ્યું છે. આમ, સરકારના ક્લાસ 2 અધિકારીએ આયુષ્માન કાર્ડનો લાભ લેતા આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ક્લાસ-2 અધિકારીને વાર્ષિક લાખોનો પગાર છતાં કઢાવ્યું આયુષ્માન કાર્ડ
મળતી માહિતી અનુસાર, આ અંગે એક સામાજિક કાર્યકર કિશનભાઇ રાઠોડે પુરાવાઓ ભેગાં કરી આખું કૌભાંડ સામે લાવ્યા છે કે જેમની આ મામલે પોલીસ ફરિયાદ થવી જોઈએ તેવી માંગ છે. ક્લાસ-2 અધિકારી કે જેમનો વાર્ષિક લાખોનો પગાર છે. છતાં તેમની પાસે સરકારની મફત સારવાર યોજનાનું આયુષ્માન કાર્ડ હોવું એ એક શરમજનક બાબત છે. સિવિલ હોસ્પિટલના આ અધિકારીએ ખોટા આધાર પુરાવાઓ રજૂ કરી આખાય પરિવારનું કાર્ડ કઢાવી દીધું છે. જેથી તેઓની સામે ફરિયાદ દાખલ કરવા કિશનભાઇ રાઠોડે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
સામાજિક કાર્યકર કિશન રાઠોડે રાજકોટ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરતા તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'રાજકોટ સિવિલના ક્લાસ-2 ઓફિસર હિતેન્દ્ર ઝાંખરિયાએ ભૂતકાળમાં અનેક ગેરરીતિઓ આચરી છે. તેઓ નર્સિંગ સ્ટાફને પરેશાન કરે છે એવી ફરિયાદો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ થઈ ચૂકી છે. આવી જ એક ગેરરીતિ કરી હિતેન્દ્ર ઝાંખરિયા અને તેમના પરિવારે આયુષ્માન કાર્ડ કઢાવી દીધું છે કે જેનો ઉપયોગ પણ તેઓએ કર્યો છે.
ઝાંખરિયાનાં પત્નીએ MRI પણ કરાવ્યો
હિતેન્દ્ર ઝાંખરિયા કે જેઓની આવક મર્યાદા સરકારના આયુષ્માન કાર્ડનાં ધારાધોરણ મુજબ ત્રણ ગણી વધારે છે. હિતેન્દ્ર ઝાંખરિયા, ભાવનાબેન અને પુત્ર શ્રેયાંશે ઓછી આવકના દાખલા રજૂ કરી આયુષ્માન ભારત કાર્ડ કઢાવ્યું છે. ઝાંખરિયાનાં પત્ની ભાવનાબેને આ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી 22/3/2022 ના રોજ MRI પણ કરાવ્યો છે. જેની સ્લિપ પણ રજૂઆત સાથે સામેલ કરાઇ છે. નોંધનીય છે કે, સરકારની આ યોજના જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે છે નહીં કે અમીર ઘરના લોકો માટે. છતાં લોકો બેધડક થઇને સરકારની આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે અને એ પણ ક્લાસ - 2 અધિકારી.
ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવા માંગ
વધુમાં કિશન રાઠોડના જણાવ્યા અનુસાર, 'સરકારની એક ઉત્તમ યોજનાનો એક ક્લાસ-2 અધિકારી દ્વારા દુરુપયોગ કરાયો કહેવાય. તાજેતરમાં જ બોગસ ડીગ્રી અને સર્ટિફિકેટ કાઢી આપવામાં આવતાં હતાં. એ કૌભાંડને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઊંડી તપાસ કરી સામે લાવ્યું હતું અને આરોપીઓને જેલહવાલે કરાયા હતા. ત્યારે આ કેસમાં પણ ક્લાસ-2 અધિકારી સહિત અન્ય કેટલાંક લોકોએ પણ ખોટા આધાર પુરાવાઓ રજૂ કરી આયુષ્માન કાર્ડ કઢાવ્યાની આશંકા છે. જેથી આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ થાય એ માટે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવી જોઈએ.'