કોરોના વાયરસ અને તહેવારોને લઈને રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. અનલૉક 3 અંગે રાજકોટ પોલીસ કમિશનરે કહ્યું કે, આજથી રાત્રિ કર્ફ્યૂ નહીં. તો કલેક્ટરે કહ્યું તહેવારોમાં ભગવાનની મૂર્તિઓ 2 ફૂટથી વધુ ઊંચી બનાવવી નહીં.
રાજકોટમાં ભગવાનની મૂર્તિઓ 2 ફૂટથી વધુ ઊંચી બનાવવા પર પ્રતિબંધ: જિલ્લા કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આગામી તહેવારો બકરી ઇદ, પર્યુષણ, સંવત્સરી, ગણેશોત્સવ, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાજકોટમાં ભગવાનની મૂર્તિઓ 2 ફૂટથી વધુ ઊંચી બનાવવા પર પ્રતિબંધ મુકાયો છે. તો બકરી ઇદમાં કુરબાની પછી માસ, હાડકા, અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરમાં પંડાલ બાંધવા પર પ્રતિબંધ મુકાયો છે. રાજકોટમાં ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સૃની અમલવારી ફરજીયાતપણે કરવાની રહેશે. 2 સપ્ટેમ્બર સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. ખંડિત મૂર્તિઓને પણ બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય. કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરવા પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાં અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપ્યું નિવેદન
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા Unlock-3ને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આજથી રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ હોટલ રેસ્ટોરન્ટ સિવાયની તમામ દુકાનો લોકો રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે તો હોટલ તેમજ રેસ્ટોરન્ટ ની સમય મર્યાદા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે તો સાથે જ ટુ વ્હીલર પર બેથી વધુ વ્યક્તિને મુસાફરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. નાની કારમાં ડ્રાઇવર સિવાય બે વ્યક્તિઓને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં માત્ર 50 વ્યક્તિ જ ભેગા થઈ શકશે. સ્પોર્ટ્સ એક્ટિવિટી નહીં કરી શકાય. દરમિયાન હવે રાજ્યમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિને રૂપિયા 500નો દંડ ફટાકારવામાં આવશે. માસ્ક ન પહેરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે. પોલીસ સિવિલ ડ્રેસમાં પણ ચેકિંગ કરશે.
તો મોટા કોમર્શિયલ વહિકલમાં માત્ર 60 ટકા મુસાફરોને જ મુસાફરી કરાવી શકાશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા અનલોક પાર્ટ-2 અંતર્ગત જાહેરનામા ભંગના 1581 કેસ કરવામાં આવ્યા છે 7062 જેટલા વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. તો જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તેમજ જાહેરમાં થુંકનારા પાસેથી 1.50 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.