રાજકોટ કોંગ્રેસમાં કકળાટનો અંત ક્યારે આવશે તે એક મોટો સવાલ છે. હવે રાજકોટમાં કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં નેતાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓ જ સવાલ પૂછી રહ્યા છે કે, શહેર કોંગ્રેસ પ્રમુખ પક્ષ પલટો નહીં કરે તેની ખાતરી શું? જોકે વોટ્સએપ ગ્રુપમાં થયેલી માથાકૂટના કારણે શહેર કોંગ્રેસનું ગ્રુપ બંધ કરવામાં આવ્યું છે.
રાજકોટ કોંગ્રેસ વોટ્સએપ ગ્રુપ અંદરોઅંદર ઝઘડો થતા બંધ કરવું પડ્યું છે. આઇટી સેલના હોદ્દેદારોની અને કાર્યકર્તાઓની દરેક કાર્યક્રમમાં ઉપેક્ષા થતો હોવાનો આક્ષેપ કર્યો છે. બહાદુરસિંહ ઝાલા નામના હોદ્દેદારે વર્તમાન પ્રમુખ અશોક ડાંગરને લઇ ટીપ્પણી કરી હતી કે પ્રમુખ પાછા ભાજપમાં નહીં જાય તેની ખાતરી શું?
બહાદુરસિંહ ઝાલા નામના હોદ્દેદારે વોટ્સએપ ગૃપમાં લખ્યું કે, અશોકભાઇ પાછા ભાજપમાં નહીં જાઓ એની શું ખાતરી છે તમે કોર્ટમાં સોગંધનામું કરો. ભાજપ પાસે નહીં પણ તમારી પાસેથી અપેક્ષા જરાય નથી. તમે ભાજપમાં કોના કહેવાથી ગયા હતા? તમારા જેવા કેટલાય ભાજપમાં ગયા છે અને હજું જવાના પણ છે અને જઇને તમારી જેમ પાછા પણ આવવાના છે. પાર્ટી બદલવાથી અને તમારા જેવા પક્ષપલ્ટુઓથી મુળ અને સાચા કોંગ્રેસી માણસને બહું તકલીફ પડે છે. એમાં રાહુલ ગાંધી પણ આવી જાય પણ હવે કોંગ્રેસમાં રહેજો અને હશો ત્યાં સુધી તમને માનશું. પણ ગયા તો કોગ્રેસનું કાંઇ તુટી જવાનું નથી. કોંગ્રેસ તમામ પક્ષોની મા અને બાપ છે.
તમને જણાવી દઈએ કે રાજકોટ કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર છે અને વોટ્સએપ ગ્રુપમાં થયેલી માથાકૂટના કારણે શહેર કોંગ્રેસનું ગ્રુપ બંધ કરવામાં આવ્યું છે. કોંગ્રેસમાં આ કકળાટના કારણે રાજકોટમાં ભાજપ કોંગ્રેસને સતત મ્હાત આપતું આવ્યું છે. નેતાઓ અને કાર્યકરોના વિચારો રાજકોટમાં એક નથી થતાં જેના કારણે કોંગ્રેસ સતત હારતું આવ્યું છે.