રાજકોટ ભાજપ કાર્યાલયના ભૂમિ પૂજન કાર્યક્રમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાર્યક્રમમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત મેયર બીનાબેન આચાર્ય જે પાટિયા પર ઉભા હતા તે તૂટી પડતા મેયર લપસ્યા હતા અને સાથે અન્ય લોકો પણ પડ્યા હતા. પરંતુ હાલ કોરોનાની મહામારીમાં આ પ્રકારે નેતાઓ જ ભીડ ભેગી કરશે તો સામાન્ય માણસ શું શીખ લેશે.
ભાજપના કાર્યક્રમમાં ખાડા પર રાખેલું પાટિયુ તૂટતા મેયર લપસ્યા
મેયર સહિત 4 આગેવાનો કાર્યક્રમ દરમિયાન લપસ્યા
મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પડ્યા
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ખાડા પર રાખેલા લાકડાનું પાટિયું અચાનક તૂટી ગયું હતું. નીતિન ભારદ્વાજે પાટીયા પર પગ મૂક્યો અને પાટિયું તૂટ્યું હતું. જેને લઇને પાટીયા પર ઉભેલા મેયર બીનાબેન આચાર્ય, ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને નીતિન ભારદ્વાજ લપસી પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ
તો બીજી તરફ ઇ-ભૂમિ પૂજન કાર્યક્રમમાં પણ ભાજપના નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. કોરોના સંકટમાં નેતાઓ એકબીજાથી દૂર ઉભા રહેવાને બદલે બાજુ બાજુમાં જ ઉભા હતા.
CM રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી કર્યુ હતું ખાતમૂર્હુત
ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન માટે કમલમ 2નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ શીતલ પાર્ક બસ સ્ટેશન પાસે કમલમ 2નું નિર્માણ થશે. કમલમ-2 માટે કુલ 1913 ચોરસ મીટરની જગ્યા ફાળવવામા આવી છે. જેમાં 230.50 ચોરસમીટરમાં કોમન પ્લોટ, 5100 ચોરસમીટરમાં આર.સી.સી. ભૂકંપપ્રુફ બાંધકામ થશે. 3 માળનું બાંધકામ કરાશે. જેમાં સેલર પાર્કિંગ અને સ્ટોરરૂમ બનાવવામાં આવશે. અંદાજિત દોઢ વર્ષના સમયગાળામાં કાર્યાલયનું બાંધકામ પૂર્ણ થશે. આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઇન માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.