બેન્કમાં 900 પટ્ટાવાળાની ભરતી બાદ બઢતીથી કલાર્ક બનાવવામાં કૌભાંડનો નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજાનો આક્ષેપ
જયેશ રાદડિયા સામે જૂથ સક્રિય
બેન્કમાં ભરતીના કૌભાંડનો આક્ષેપ
પગલા નહી ભરાય તો મામલો જશે કોર્ટમાં !
રાજકોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ ફરીવાર સપાટી પર આવ્યો છે. જેમાં જયેશ રાદડિયા સામેનુ જૂથ ફરીવાર સક્રીય બન્યુ છે. નીતિન ઢાંકેચા,હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખીયાએ જયેશ રાદડિયા વિરૂદ્ધ સરકારના સહકાર સચિવ સહિતને રજૂઆત કરાઈ છે કે, જો જયેશ રાદડિયાના ભ્રષ્ટાચાર સામે પગલા ભરવામાં નહી આવે તો તેઓ દ્વારા કોર્ટનો સહારો લેવામાં આવશે.
સરકાર પગલાં નહીં લે તો કોર્ટના દ્વાર ખખડાવવા આપ્યું અલ્ટીમેટમ
રાજકોટમાં ભાજપના નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડાજાના જૂથે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જયેશ રાદડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆતો કરી છે. જેમાં તેઓ દ્વારા અગાઉ ગાંધીનગર ખાતે રજીસ્ટ્રાર શાખામાં લેખિતમાં પણ રજૂઆત કરાઈ હતી. પરંતુ આ મુદ્દે કોઈ પગલા ભરવામાં ન આવતાં ભાજપના આ જૂથે ચીમકી ઉચ્ચારી છે કે, આગામી સમયમાં રાદડિયા વિરૂદ્ધ કાર્યવાહી નહી થાય તો કોર્ટના અમારા દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિન ઢાંકેચા જૂથે રાદડિયા વિરૂદ્ધ રાજકોટ જિલ્લા બેન્કમાં પટાવાળાની ભરતીમાં કૌભાંડના આક્ષેપ લગાવ્યા છે. જેમાં 900 પ્યુનને બઢતીથી કલાર્ક બનાવવાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
શુ છે સમગ્ર મામલો ?
આપણે જણાવી દઈએ કે ભાજપના જ નેતાઓ રાદડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે. જિલ્લા બેંકના પ્યુનની ભરતમાં કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ સાથે અગાઉ ગાંધીનગર ખાતે નીતિન ઢાંકેચા સહીતના ભાજપ નેતાઓ રજૂઆત કરી હતી. જેમાં તેમનો આરોપ હતો કે પ્યુનની ભરતીમાં રાદડિયા રૂ. 45 લાખ લઈ ભરતી કરી રહ્યા છે. જાહેર ખબર આપ્યા વગર તેમજ રોજગાર કચેરીમાં નામ મંગાવ્યા વગર ભરતી કરાઈ હતી. વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે 3 માસના રોજમદાર તરીકે પ્યુનની ભરતી કરી હતી જે બાદ કોઈ પણ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર એક વર્ષ બાદ પ્યુનને કાયમી કરી નાખવામાં આવ્યા છે. પ્યુનને પાંચ વર્ષ બાદ ક્લાર્કનુ પ્રમોશન પણ આપી દેવાયું છે.