રાજકોટની શાન ગણાતો ઓટો સ્પેર પાર્ટસ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઓટો પાર્ટસની માંગમાં ઘટાડો આવતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે આશરે 10 હજાર લોકોએ પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. 28 ટકા જેટલો જીએસટી અને માર્કેટની મંદીને કારણે ઓટો પાર્ટસ ઉદ્યોગ ભાંગી પડ્યો છે.
એક સમયે રાજકોટની સાન ગણાતો ઓટો સ્પેર પાર્ટસ ઉદ્યોગને આજે મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઓટો પાર્ટસ ઉદ્યોગ અને એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ત્રણ મહિનામાં વેચાણમાં આવેલા અભુતપૂર્વ ઘટાડાને કારણે 10 હજાર લોકો મંદીનો ભોગ બન્યા છે.
માર્કેટમાં ઓછી માંગ અને સ્ટોકનાં ભરાવાને કારણે ઉદ્યોગકારો ઉત્પાદન ઘટાડવા મજબુર બન્યા છે. રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશનનાં પ્રમુખનાં કહેવા મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી ઓટો પાર્ટસ અને એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝમાં 21 ટકા કરતા વધુ મંદીનો સામનો કરી રહી છે.
જેને કારણે વેંચાણ ઘડ્યું છે અને ઉદ્યોગોમાં કામનાં કલાકો ઘટાડવામાં આવ્યા છે અને ઉત્પાદન ઘટતા કારીગરોની રજાઓમાં વધારો કરવામાં આવી છે. જેને કારણે મોટાભાગનાં કારીગરો બેરોજગાર બન્યા છે.
મંદી પાછળ શું છે જવાબદાર?
સોસાયટી ઓફ ઇન્ડીયન ઓટો મોબાઇલનાં આંકડા મુજબ, 2018માં 3 લાખ પેસેન્જર વ્હિકલનું વેંચાણ થયું છે. જે ચાલુ વર્ષે ઘટીને 2 લાખ 39 હજાર વાહનોનું વેંચાણ થયું છે. આશરે 21 ટકા જેટલું વેંચાણ ઘટ્યું છે. કંપનીઓ ઓટો પાર્ટસનાં ઓર્ડરો આપે છે પરંતુ તેની ખરીદી કરવામાં પાછીપાની કરી જાય છે. જેને કારણે રાજકોટની ઓટો પાર્ટસ ઇન્ડસ્ટ્રીઝમાં ન વેંચાયેલા માલનો સ્ટોક કરોડો રૂપીયાનો થઇ ગયો છે.
GSTને કારણે માઠી દશા
એન્જીનિયરીંગ એસોસિએશનનાં પ્રમુખનાં કહેવા મુજબ, હવે ફક્ટ એક્સપોર્ટ કરવાનાં ઓર્ડર પર જ ઓટો પાર્ટસ ઇન્ડસ્ટ્રીઝ ટકી છે. કારણ કે, ઓટો પાર્ટસ અને ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં 28 ટકાનો જીએસટીનો સ્લેબ રાખવામાં આવ્યો છે. અન્ય વ્યવસાયોમાં જીએસટીનો સ્લેબ સરકાર દ્વાર ઘટાડવામાં આવતા ઘંઘાને તેજી મળી છે. પરંતુ ઓટો પાર્ટસમાં જીએસટીનો સ્લેબ ઘટાડવામાં આવ્યો ન હોવાથી મંદી સહન કરવાનો વારો આવ્યો છે. જેને કારણે ત્રણ સિફ્ટમાં ચાલતા ઉદ્યોગોએ બે સિફ્ટ કરી નાખી છે. જેને કારણે એક સિફ્ટનાં કારીગરો બેરોજગાર બન્યા છે.
બેરોજગારીનો આંક વધે તેવી શક્યતા
રાજકોટ આસપાર ઔદ્યોગીક વિસ્તારોમાં આશરે 2 હજાર યુનિટ ઓટોસ્પેર પાર્ટસ, ફોર્જીંન અને કાસ્ટીંગનાં છે. જેમાં આશરે 2 લાખ કરતા વધુ લોકોની રોજગારી નભેલી છે. જોકે હજુ પણ ઓટો પાર્ટસ ઉદ્યોગ મંદીનો માર સહન કરશે તો બેરોજગારીનો આંક વધે તેવી શક્યતા છે. આશરે 1 લાખ લોકોને આ મંદીની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ત્યારે કેન્દ્ર સરકાર બજેટમાં ઉદ્યોગોને ટેક્સમાં રાહત આપે તો ફરી ઉદ્યોગો મંદીમાંથી બહાર આવી શકે છે તેવી ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે.