રાજકોટમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલે વધુ એક ખુલાસો થયો છે. આપઘાત કરનાર ASI ખુશ્બુના ઘરેથી બીજુ એક હથિયાર મળ્યું હતું. આ હથિયાર ASI વિવેક કુછડિયાનું હોવાનું સામે આવતા પોલીસ કમિશ્નરે ASI વિવેક કુછડિયાને સસ્પેન્ડ કર્યો છે.
એએસઆઈ ખુશ્બુ કાનાબારે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની હત્યા કરી હતી બાદમાં પોતે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. જોકે આ મામલે તપાસ ચાલી રહી હતી. તે અંતર્ગત ખુશ્બુના ફલેટમાંથી વધુ એક સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. જે વિવેક કુછડીયાની હોવાનું બહાર આવતા તેની સામે તપાસના આદેશ અપાયા હતા. જેમાં તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કુછડિયાને સસ્પેન્ડ કરાતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.
ખુશ્બુના ઘરે ભુલી ગયો હતો રિવોલ્વરઃ વિવેક કુછડીયા
રાજકોટનો કોન્સ્ટેબલ-મહિલા ASIના બહુચર્ચિત કેસ મામલે રોજબરોજ અનેક નવા ખુલાસા થાય છે, ત્યારે આજે વધુ એક ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં બનાવની રાત્રીના વિવેક કુછડીયા સાથે ફરજ બજાવતા એએસઆઇ ખુશ્બુનાં ઘરે ગયો હતો. ત્યાં તેની સર્વિસ રિવોલ્વર ભુલી ગયો હતો. ત્યારે ફરજ દરમિયાન બેદરકારીને લઇને વિવેક કુછડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, રાજકોટમાં પોલીસમાં નોકરી કરતા પ્રેમી પંખીડાઓનું અપમૃત્યુ થયું હતું. જેમાં મહિલા ASIએ તેના પ્રેમી કોન્સ્ટેબલની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.