મોટર વ્હિકલ એક હેઠળ હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો ત્યારથી ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છો તે કેટલાક સ્થળો પર સમર્થન પર કરવામાં આવ્યું છે. જો કે, ગુજરાતની વાત કરવામાં આવે તો થોડા સમયગાળા પહેલા રૂપાણી સરકારે હેલ્મેટમાંથી મુક્તિ આપવાની વાત કરી હતી અને તાજેતરમાં કોર્ટના હુકમ બાદ હેલ્મેટના નિયમને ફરજીયાત બનાવવાની વાત કરી હતી. જો કે, આ મામલે રાજકોટના એક જાગૃત નાગરિક અશોક પટેલે અનોખી રીતે આ કાયદાનો વિરોધ કર્યો હતો.
2005માં ગુજરાતમા હાઇકોર્ટની એક સુઓ-મોટો રિટથી ફરજિયાત હેલ્મેટ પહેરવાનાં નિયમનો તેઓ સખત વિરોધ કરે છે અને આ નિયમ સામે તેઓ સવિનય કાનુનભંગ કરે છે. આજેપણ રાજકોટની બજારમાં તેઓ હેલ્મેટ વગર જ જોવા મળે છે અને ગળામાં એક પાટીયું લટકાવેલું હોય છે જેમાં લખ્યું હોય છે. 'આ માથું મારું છે'.
ગુજરાત સરકારના ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદા વિશે વાંચીયે તેમના જ શબ્દોમાં...
હું અશોક પટેલ, રાજકોટથી જણાવું છું કે, ફરજિયાત હેલ્મેટ કાયદો ભારતને લાગે વળગે છે ત્યાં સુધી બંધારણના મૂળભૂત અધિકારની કલમ નંબર-21 મુજબ મન અને શરીરની સ્વતંત્રતાના રક્ષણની ખાતરી આપે છે. મન એટલે માત્ર જીવ ટકાવી રાખવો એ જ નથી. જો શ્વાસ લેવો એજ જીંદગી હોત તો માણસ અને પ્રાણી વચ્ચે કોઇ જ તફાવત જ ન હોત માનવીના જીવનનો અધિકાર ફક્ત ભૌતિક શરીરના અસ્તિત્વ પુરતો જ નથી પણ બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આદર્શોને મેળવવા માટે ગૌરવપૂર્ણ જીવનને સાર્થક કરે તેવા માનવ્યને ઉજાગર કરવા માટે છે.
ફરજીયાત હેલ્મેટનો કાયદો સ્પષ્ટપણે વ્યક્તિમાં રહેલી ક્ષમતાનો અસ્વીકાર કરે છે. વ્યક્તિમાં રહેલ ચેતના અને બુદ્ધિનો અસ્વીકાર કરે છે. આ કાયદો વ્યક્તિને ફક્ત જડ શરીર માને છે. શરીર ઉપરાંત ગીતામાં ગવાયેલ આત્મતત્વનો જ અસ્વીકાર કરે છે. ગીતામાં આત્માના વર્ણન તેની શક્તિ અને ક્ષમતાને વર્ણવતો એક શ્લોક છે. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
આ શ્લોક મુજબ આ આત્મા એટલો બળવાન છે કે તેને શસ્ત્રો છેદી શકતા નથી અને અગ્નિ પલાળી શકતો નથી. પાણી એને ભીંજવી શકતું નથી કે વાયું તેને સુકવી શકતો નથી. આ શ્લોકનો અર્થ થાય છે કે, જે આત્મા આટલો બળવાન કે ક્ષમતાવાન હોય એટલે કે આદી અવસ્થામાં ગુફામાં નગ્ન રહેતી માનવજાતને જ તે અગ્નિ અને પૈડાની શોધ કરી છે. અને માનવ ઉત્ક્રાંતિની આ સફરમાં આજનો માનવ જ્યારે ચંદ્ર પર પણ પહોંચી ગયો છે. તો શું તે માનવને હેલ્મેટ પહેરવા જેવી બાબતમાં કોઇ કાયદાની જરૂર હોય ખરી ? કાયદો બન્યો છે તેનો સીધો અર્થ એ છે કે, જેમણે એ કાયદો બનાવ્યો છે તેઓ માનવના અસ્તિત્વને નકારે છે. માનવને ફક્ત શરીર માને છે.
જો ભારતના નાગરિકોને હેલ્મેટ પહેરવો પસંદ નથી તો સરકારે સૌ પ્રથમ એ જાણવું જોઇએ કે, શા માટે હેલ્મેટ પહેરવો પસંદ નથી. જે માણસ સરકારો બનાવે છે અને સરકારો ચલાવે છે તે માણસની ક્ષમતાને જ કાયદો બનાવી નકારી દેવાય છે. ત્યારે નાગરિકોએ શું કરવું તેનો ઉપાય ગાંધીજીએ સરળ શબ્દોમાં જણાવેલ છે. જે અંધારામાં દીવાદાંડીની જેમ આપણું પથપ્રદર્શન કરે છે. ગાંધીજીએ કહ્યું છે કે, એવા દરેક કાયદાઓ કે જે આપણને પસંદ ન હોય તેને માન આપવું એ કાયરતા છે, નામર્દાઇ છે, ધર્મ વિરૂદ્ધ છે અને ગુલામીની તો હદ જ છે.