રાજકોટમાં અંકુર સોસાયટીનો વિવાદ વધુ વકર્યો છે. TP સ્કીમ બદલાતા અંકુર સોસાયટીના 150 જેટલા મકાનો કપાતમાં જાય છે. ત્યારે મનપા કમિશનરે મહત્વનું નિવેદન આપ્યું છે.
રાજકોટની અંકુર સોસાયટીના વિવાદનો મામલો
સ્થાનિકોના મકાન પડશે તો કોંગ્રેસની આંદોલનની ચિમકી
કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત આવ્યા મેદાને
કોર્પોરેટરની સ્કૂલ ન પડે તે માટે TPમાં બદલાવ : મહેશ
સમગ્રે મામલે RMCના કમિશનર અને RMC દ્વારા સ્થાનિક લોકો સાથે ચર્ચા કર્યા પહેલા કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેવી બાંહેધરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ કહ્યું કે, આ અંગે લોકોને ગેરસમજ થઈ છે.
નોટિસ આપી નથી છતાં વિરોધ કેમ? મનપા કમિશનર
હજુ સુધી TP સ્કીમ મામલે માત્ર દરખાસ્ત રાખવામાં આવી છે. પરંતુ મનપા દ્વારા સ્થાનિકોને કોઈ નોટિસ આપવામાં આવી નથી. મનપા દ્વારા સોસાયટી મામલે કોઇ ચર્ચા પણ નથી થઈ. છતાં સ્થાનિકો શા માટે વિરોધ કરી રહ્યા છે.
ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવી સ્થિતિ
મનપા TP શાખા સાથે સોસાયટી મામલે બેઠક કરશે અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આમ, આ સમગ્ર મામલે હાલ ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
મેયરે આપ્યું નિવેદન
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદિપ ડવે નિવેદન આપ્યું હતું કે, 80 ફૂટ રોડને 150 ફૂટ રિંગ સુધી જોડવા અંગેની હજી મનપા કમિશનર દ્વારા દરખાસ્ત આવી છે. જેને સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવી છે. કોઈપણ લેન્ડ ઓફ પબ્લિક સ્ટેટ હેઠળ જ્યારે રસ્તો બનાવવામાં આવતો હોય ત્યારે રસ્તો ખોલવા માટે મિલકત ધારકોના વાંધા સૂચનો મંગાવવામાં આવતા હોય છે, ત્યારબાદ તેમને સાંભળવામાં આવે છે અને નોટિસ આપવામાં આવે છે. જો કે, આ બાબતોમાં આવી કોઈપણ પ્રક્રિયા થયેલી નથી. માટે લોકો આ બાબતે કોઈપણ પ્રકારની ગેરસમજ ન કરે. ચોક્કસપણે તેમને સાઁભળીને જ પુરતો ન્યાય આપવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં રાતોરાત રહીશો ને બેધર કરવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. મેયરના વોર્ડ નંબર 12 અંકુર રોડ ખાતે લોકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકીય હાથ હોવાની શંકા સ્થાનિકોને જાગી હતી.
200 થી વધુ મહિલાઓ અને પુરુષોએ નોંધાવ્યો વિરોધ
રાજકોટના મેયરના વોર્ડ નંબર 12 અંકુર રોડ પર સ્થાનિકો એકઠા થતાં ભારે રોષ જોવા મળ્યો હતો. 200 થી વધુ મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા અને 5થી વધુ મહિલાઓ તો કલ્પાંત સાથે અસ્વસ્થ થઇ ગઈ હતી. અસ્વસ્થ મહિલાઓને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
સમગ્ર ઘટનામાં TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં જવાની નોટિસ આવતા રહીશો પર આફત આવી પડી હતી. સ્થાનિકો આ સમાચારના કારણે રસ્તા પર વિરોધ નોંધાવવા ઉતર્યા હતા.
મહિલાઓનું હૈયાફાટ રુદન
આ નોટિસના પગલે મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી હતી. એક સ્થાનિકે VTV સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમારી દીકરીઓ રડી રહી છે. આ અમારી મહેંતનનું ઘર છે. અમારા છોકરા રખડી જશે. તેમણે કહ્યું હતું કે ગમે તે થાય પણ અમે અમારા ઘર છોડવાના નથી.
કોઈ સાંભળે છે?
VTV સાથેની વાતચીતમાં એક રહીશે કહ્યું હતું કે ત્રણ ત્રણ દિવસથી કોઈએ ખાધું નથી. સરકાર નીતિથી ચાલે તેવી અપેક્ષા અમને છે. ઘરેણાં મૂકીને ઘર બનાવ્યું છે અને હજુ હપ્તા ભરી રહ્યા છે. અમે પૈસા વાળા લોકો નથી. અમારે આ સ્થિતિમાં ક્યાં જવું? એક વૃદ્ધાએ તો કહ્યું હતું કે મારે આ મકાનમાં 35 વર્ષ થઈ ગયા. હવે અમને ખાધા પીધા વગરના મારી તો ન નખાય ને. ઘરમાં બેઠી બેઠી સ્ત્રીઓ રડી રહી છે કોઈને જમવું પણ નથી ગમતું. ભાડા ભરવાની અમારી શક્તિ નથી હવે અમે ક્યાં જઈશું? કલ્પાંત કરતી મહિલાઓના આ સવાલોના જવાબ તો તંત્ર જ આપી શકે એમ છે.
RK ગ્રૂપની બિલ્ડિંગ બચાવવા માટે થયું હોવાનો આરોપ
સ્થાનિકોનું કહેવું છે કે આ બધુ આર કે ગ્રૂપના કારણે થઈ રહ્યું છે. તેમની બિલ્ડિંગ નજીકમાં જ આવેલી છે અને આ રસ્તો બનાવવા પાછળ તેઓનો હાથ છે. એક રહીશે કહ્યું હતું કે આ તેઓની શોભા વધારવા માટેનો પ્લાન છે. પણ અમે ત્રીસ ત્રીસ વર્ષથી અહીં રહીએ છીએ. હવે અમે ક્યાં જઈએ? તાજેતરમાં જ RK ગ્રુપ પર દરોડા પડ્યા હતા. ત્યારથી જ આ ગ્રુપ વિવાદોમાં છે અને હવે વધુ એક વિવાદમાં આ ગ્રૂપનું નામ સંડોવાયું છે.
ગાંધીનગરમાં પણ પડશે પડઘા?
આર કે બિલ્ડર સાથે રાજકીય ઓથ સાથે આ કપાત નકશો બદલાયા નો રહીશો આક્ષેપ બાદ હવે રહીશો નું ઘર કપાત ના નામે છીનવી લેવા નો પડધો ગાંધીનગર માં પડે તેવી શક્યતા.
ગુજરાત માં સતા પરિવર્તન પૂર્વે આ મિલ્કતો કપાત માં જાય તેનો લાભ બિલ્ડર ને મળે તેવી કોર્પોરેશન માં રાજકીય ચાલ ચાલી હોવાનો રહીશો નો આક્ષેપ હોવાથી આ ઘટના વિપક્ષનું ધ્યાન ખેંચે અને વિરોધનું કારણ બને તેવી શક્યતા છે.
115 ઘર કપાતમાં આવતા સ્થાનિકોનું વધ્યું ટૅન્શન
નોંધનીય છે કે, શહેરના અંકુર રોડ પર TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં આવતા હોવાથી લોકો એકઠા થયા હતા. તમામ નાગરિકોને બેઘર કરવાનો કારસો કે રાજકીય ઓથ હેઠળ ઘડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. સાથે જ અચાનક નકશો બદલીને મોટા માથાઓને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યા હોવાની પણ વાત ઉચ્ચારી હતી.