પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દિવસ પહેલા રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ માટે ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે ખાતમુહૂર્ત બાદ આ એઇમ્સનું બાંધકામ કાર્ય બંધ થયું હોવાની ગામમાં ચર્ચા ફેલાઇ હતી. જોકે એઇમ્સનું કામ બંધ થયું હોવાના આક્ષેપોને લઇને રાજકોટ એઇમ્સ ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિન્હાએ સ્પષ્ટતા કરી હતી.
રાજકોટ એઇમ્સ(AIIMS) નિર્માણનું કામ બંધ થયું હોવાની હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે રાજકોટમાં એઇમ્સને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ એઇમ્સના ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિન્હાએ કહ્યું છે કે, એઇમ્સનું કામ નથી થયું બંધ. એઇમ્સનું નિર્માણ કામ ચાલુ જ છે. મહત્વનું છે કે, એઇમ્સનું કામ બંધ થયું હોવાનું ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા.
ગામલોકોમાં શું ચાલી રહી હતી ચર્ચા?
પૈસા મામલે વિવાદ સર્જાતા એઇમ્સનું બાંધકામનું કામ બંધ હોવાની ગામમાં ચર્ચા ચાલી રહી હતી. એઇમ્સનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ અધુરો મૂકી રવાના થયો હોવાની વાત ફેલાઇ હતી. સેલરનું કામ પડતું મુકીને કોન્ટ્રાક્ટર રવાના થયો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.
આઝાદીના 75 વર્ષ બાદ 6 એઇમ્સ બની છેઃ PM મોદી
2 દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ એઇમ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી જનતાને સંબોધતા કહ્યું હતું કે મંડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ એક કડી જોડાઈ છે. આ વર્ષ વિશ્વ માટે પડકારજનક રહ્યો છે. ભારત પણ કોરોના સામે મજબૂતીથી લડી રહ્યું છે. PMએ જણાવ્યું હતું કે એઇમ્સથી ગુજરાતના મેડીકલ ક્ષેત્રને મજબૂતી મળશે. ગંભીર બીમારીઓની સારવાર એઇમ્સ બન્યા બાદ રાજકોટમાં થશે. PMએ કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ બાદ 6 એઇમ્સ બની છે. 2003માં ભાજપ સરકારમાં 6 નવી એઇમ્સ મંજૂર કરાઈ હતી. અને હવે 6 વર્ષમાં 10 એઇમ્સ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ એઇમ્સની શું છે ખાસિયત?
રાજકોટમાં 201 એકરમાં એઇમ્સ હોસ્પિટલ બનશે. 1195 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 2022 સુધી સંપૂર્ણ રીતે તૈયાર થવાનું અનુમાન છે. એઇમ્સ હોસ્પિટલમાં 750 બેડ હશે. 30 બેડ આયુષ માટે રાખવામાં આવશે. 125 MBBS સીટ અને 60 નર્સિંગ સીટ પણ હશે. એઇમ્સને સીધા એરપોર્ટ સાથે કનેક્ટ કરાશે. રાજકોટ એરપોર્ટથી 11 કિમી દૂર એઇમ્સ બનશે. દર્દીઓની સાથે આવતા લોકો માટે અલગથી ધર્મશાળા બનશે. સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે અલગ ક્વાર્ટર બનશે.