AAP નેતા નિખિલ સવાણી,પ્રવિણ રામે પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે રાજકોટમાં શુભેચ્છા મુલાકાત કરી
AAP નેતાઓ રાજકોટની મુલાકાતે
પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે કરી મુલાકાત
નિખિલ સવાણી,પ્રવિણ રામે નરેશ પટેલ સાથે કરી ચર્ચા
વધુ એક વખત આમ આદમી પાર્ટીના નેતાઓએ પાટીદાર અગ્રણી નરેશ પટેલની મુલાકાત કરી છે. આજરોજ આમ આદમી પાર્ટીના પ્રવિણ રામ તેમજ નિખિલ સવાણી દ્વારા પાટીદાર અગ્રણી એવા નરેશ પટેલ ની ઓફિસ ખાતે મુલાકાત કરી હતી. અંદાજિત એક કલાક જેટલો સમય નિખિલ સવાણી પ્રવિણ રામ અને નરેશ પટેલ વચ્ચે ચર્ચા ચાલી હતી.
'નરેશ પટેલ અને તેમના સમકક્ષ લોકોને AAP પાર્ટી હંમેશા આવકારશે'
બેઠક પૂર્ણ થયા બાદ પ્રવીણ રામે મીડિયા સાથેની વાતચીતમાં મુલાકાતને રાજકીય નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું હતું. તો સાથે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ક્યારે તુટતી નથી. તો સાથે જ આમ આદમી પાર્ટીમાં નરેશ પટેલ અથવા નરેશ પટેલ ની સમકક્ષ હોય તેવી વ્યક્તિ જોડાતી હોય તો અમે નરેશ પટેલને આવકારીએ છીએ તેવું પણ નિવેદન પ્રવિણ રામે આપ્યું હતું. જ્યારે કે નિખીલ સવાણીએ બેઠકને રાજકીય બેઠક ન ગણી શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું હતું.
નરેશ પટેલે રાજકારણમાં જવાના આપ્યા હતા સંકેત
આ અગાઉ ઘણી વખત મીડિયા સમક્ષ પણ પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા આપી ચૂક્યા છે તેમને કહ્યું હતું કે રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.
રાજકીય અને સામાજિક રીતે નરેશ પટેલનું વધતું કદ
છેલ્લા 1-2 મહિનામાં રાજકીય દ્રષ્ટિએ જોતાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાત કોંગ્રસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, AAPના નેતાઓ સહિત ગુજરાત સરકારના ઘણા મંત્રીઑ પણ નરેશ પટેલની મુલાકાત લઈ ચૂક્યા છે. પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા માટે અલ્પેશ કથીરિયા, દિનેશ બામભણિયા સહિત પાટીદાર સમાજના મોટા નેતાઓ પણ નરેશ પટેલની મુલાકાત કરી ચૂક્યા છે. પરીક્ષામાં થતાં ગેરવહીવટને રોકવા તેમજ યોગ્ય રજૂઆત કરવાના આશયથી વિદ્યાથી અને AAP નેતા યુવરાજસિંહ જાડેજા બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રવિણ રામ તેમજ નિખિલ સવાણીએ નરેશ પટેલ સાથે બેઠક કરી છે. નરેશ પટેલના રાજકીય પ્રવેશનો પડદો જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ તેમ ઉઠી શકે છે.