રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી આપઘાતની ચકચરી ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પોલીસ ભરતીની દોડમાં એક યુવક નાપાસ થતાં મોતને વ્હાલું કરી લીધાના અહેવાલો મળતા હડકંપ મચ્યો છે.
રાજકોટમાં યુવકનો આપઘાત
પોલીસ ભરતી પરીક્ષામાં દોડમાં નાપાસ થતા આપઘાત કર્યો
મૃતક યુવક સાજડિયાળી ગામનો રહેવાસી
રાજ્યમાં હાલ સરકારી ભરતીની સિઝન ચાલી રહી છે જેમાં ખાસ કરીને પોલીસ ભરતીને લઈને યંગસ્ટર્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એવામાં રાજકોટથી ભરતી માટે મહેનત કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં નાસીપાસ થઈને અંતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે.
પોલીસ ભરતીની દોડ સમયસર પૂર્ણ ન થતાં યુવક થયો નિરાશ
26 વર્ષના યુવાને ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ નિયમ સમયગાળામાં પુર્ણ ન કરી શકતા નાસીપાસ થઇને ઝેરી દવા પી જિંદગીની સફરનો અંત આણી લીધો હતો.
ગામમાં માતમ છવાયો
મળતી વિગતો પ્રમાણે, લીલી સાજડિયાણી ગામના યુવાન નિકુંજ મકવાણાએ ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું હતું. ખોબા જેવડા ગામડામાં જુવાનિયાએ આપઘાત કરી લેતાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડમાં નાપાસ થતા યુવકે ગઇ કાલે ઝેરી દવા પીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
થોડા દિવસ પહેલા રાજકોટમાં યુવકે કર્યો હતો આપઘાત
રાજકોટમાં યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. યુવક નિવૃત્ત SRP જવાનોનો પુત્ર હોવાનું આવ્યું સામે. રાજકોટના ગાયત્રી નગર વિસ્તારમાં આ ઘટના બની છે. મોડી રાત્રે પિતાની રિવોલ્વોરમાંથી ફાયરિંગ કરી આપઘાત કર્યો છે. યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા BRTS બસ સ્ટેન્ડમાં નોકરી કરતો હતો. યુવકે શા કારણે આપઘાત કર્યો એનું કારણ હજુ અકબંધ છે. આપઘાતની ઘટના સામે આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.