રાજકોટમાં શરાફી મંડળીના કરતૂત સામે આવ્યા છે. 42 હજાર લોકોનું 60 કરોડનું ફૂલેકુ ફેરવનાર શરાફી મંડળીના આરોપી ચેરમેને આ પૈસાથી જમીન ખરીદી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
રાજકોટ 60 કરોડનું ફૂલેકુ
રાજકોટની શરાફી મંડળીની કરતૂત
4 હજાર 200 થાપણદારોના નાણાં ચાઉ
રાજકોટ રામેશ્વર શરાફી મંડળી ઉઠામણાનો મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. 60 કરોડના ફૂલેકા પ્રકરણમાં આરોપી ચેરમેન સંજય દૂધાગરાએ 10 કરોડની જમીન ખરીદી હોવાનો ખુલાસો થયો છે. 4 હજારમાંથી 1231 સભાસદોના પેપર પર કોઇ વ્યવહાર નથી. તમામ ટ્રાન્જેક્શન કેસમાં કરાયા હોવાનો ખુલાસો થયો છે. મોટા માથાઓના બ્લેકમની રોકાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ભક્તિનગર પોલીસે ચેરમેન સંજય દૂધાગરાની ધરપકડ કરી છે. વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણીની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે ઝડપાયેલા આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.
નોંધાઈ હતી પોલીસ ફરિયાદ
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય દુધાત્રા વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી તેમજ મેનેજર વિપુલ વસોયા વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
શું છે મામલો?
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો કુલ 42 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયા લઈને તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભક્તિનગર પોલીસને મળેલ લેખિત ફરિયાદ મુજબ કુલ 17 થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની પોતાની સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે.
મીડિયા સાથેની વાતચીતમાં ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવે તો સાથોસાથ તેમના પૈસા તેમને પરત અપાવવામાં આવે. મીડિયા સાથેની વાતચીતમાં ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે જ્યારે ખાનગી તેમજ સરકારી બેંકો ફિક્સ્ડ ડિપોઝિટમાં 5.5 ટકાથી લઈ 7 ટકા જેટલું વ્યાજ આપે છે ત્યારે શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી દ્વારા વાર્ષિક 12 ટકા વ્યાજ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
પોલીસ બેડામાં ચર્ચાતી વાતો મુજબ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના સગાવહાલાઓ એ પણ પોતાના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ફરાર આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તેમ જ લોકોને તેમના પૈસા પરત મળે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે