નવા ચૂંટણી કમિશનર તરીકે પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમાર (Rajiv Kumar) ની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેઓ અશોક લવાસાની જગ્યા લેશે. કાયદા મંત્રાલયે શુક્રવારે રાત્રે એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી હતી.
ઈલેક્શન કમિશનર તરીકે રાજીવકુમારની નિમણૂંક
પૂર્વ ફાઈનાન્સ સેક્રેટરી રાજીવકુમારની નિમણૂંક
અશોક લવાસાની જગ્યા લેશે રાજીવકુમાર
ઉલ્લેખનીય છે કે, મંત્રાલયે કહ્યું કે રાજીવ કુમાર હાલના ચૂંટણી કમિશનર અશોક લવાસાની જગ્યા લેશે, આ સાથે જ તેઓ આગામી 31 ઓગસ્ટે તેમનો પદભાર સંભાળળશે. આપને જણાવી દઇએ કે, અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નવી જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. રાજીવ કુમાર 1984 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે.
કાયદા મંત્રાલયે જાહેરનામામાં કહ્યું છે કે, "રાજીવ કુમારની ચૂંટણી કમિશનર પદ પર નિયુક્તિથી રાષ્ટ્રપતિ ખુશ છે. અશોક લવાસાના રાજીનામાની અસર અમલી બનશે ત્યારથી ચૂંટણી કમિશનર તરીકે તેમની નિમણૂક સત્તાવાર ગણાશે."
સુનીલ અરોરા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર
સુનીલ અરોરા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. અશોક લવાસા સિવાય અન્ય ચૂંટણી કમિશનર સુશીલચંદ્ર છે. કુમાર 10 દિવસ પછી આ વરિષ્ઠ અધિકારીઓની ટીમનો હિસ્સો બનશે.
જાહેર નીતિ અને વહીવટમાં 30 વર્ષથી વધુનો અનુભવ
કુમારની પાસે જાહેર નીતિ અને વહીવટમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે જાહેર નીતિ અને બીએસસી અને એલએલબી સાથે સસ્ટેનેબિલીટીમાં માસ્ટર્સ કર્યું છે. કુમાર ગયા વર્ષે જુલાઈમાં નાણાં સચિવ તરીકે નિયુક્ત થયા હતા અને તેમનો કાર્યકાળ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થયો હતો. રાજીવ કુમાર આર્થિક સમાવેશ માટેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાના મુખ્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે જાણીતા છે. આમાં પ્રધાનમંત્રી જન ધન યોજના અને મુદ્રા લોન યોજના જેવી મોટી યોજનાઓ શામેલ છે.