શેર બજારમાં રોકાણનો તગડો અનુભવ ધરાવતા રાજીવ જૈન હાલ ચર્ચામાં આવ્યા છે. તેઓ અદાણી ગ્રુપના સંકટમોચક તથા સક્ષમ રોકાણકાર તરીકે ઉભરી આવ્યા છે. એક બાજુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી જૂથના શેરમાં જોરદાર કડાકો નોંધાઇ રહ્યો હતો. આવી સંકટની સ્થિતિએ પણ રાજીવ જૈનના GQG પાર્ટનર્સ એલએલસીએ અદાણી ગ્રુપના શેરમા મોટાપાયે રોકાણ કર્યું હતું. રાજીવ જૈનની કંપનીએ અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં રૂ. 15, 446 કરોડ જેટલું મસમોટું રોકાણ કરી નાખ્યું હતું. તેઓનો આ નિર્ણય અન્ય નિષ્ણાંતો માટે ચર્ચાનો અને આશ્ચર્યનો વિષય બન્યો હતો. પરંતુ માત્ર 53 દિવસમાં ટૂંકા ગાળામાં હવે તેઓને 10 હજાર કરોડ રૂપિયાનો તગડો નફો મળ્યો છે. એટલું જ નહીં નફા સાથે જ રાજીવ જૈનની પેઢીએ ગૌતમ અદાણીના જૂથમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા વધારી નાખ્યો છે.
અદાણી સમૂહમાં CQGનું લગભગ રોકાણ 3.5 બિલિયન
એક ઇન્ટરવ્યુમાં દિગ્ગજ રોકાણકાર રાજીવ જૈને જણાવ્યું હતું કે અદાણી પરિવાર બાદ અદાણી ગ્રુપમાં સૌથી મોટા રોકાણકારો બનવા માટેની સિદ્ધિ મેળવવા અને પ્રયત્નશીલ છીએ અને આ સ્થાન હાંસલ કરવામાં અમે પાંચ વર્ષમાં સફળતા મેળવી લઈશું તેવા આશાવાદ સાથે દાવો પણ કર્યો હતો. એટલે કે આગામી સમયમાં અદાણી પરિવાર પછી તે સૌથી ટોચના રોકાણકાર બની શકે છે. અમે અદાણીની ઓફરમાં ભાગીદાર બનવા માંગીએ છીએ. સાથે જ તેઓએ માહિતી આપતા કહ્યું કે અદાણી સમૂહમાં CQGનું લગભગ રોકાણ 3.5 બિલિયન નજીકનું છે.
10 હજાર કરોડ રૂપિયાની કમાણી રોળી નાખી
રાજીવ જૈનની GQG પાર્ટનર્સ એલએલસીએ માર્ચમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને અદાણી ટ્રાન્સમિશન સહિતની કંપનીમાં રોકાણ કર્યું હતું. ખાસ વાત એક બાજુ હિંડનબર્ગના રિપોર્ટને લઈને જેતે સમયે અદાણી ગ્રૂપના શેરમાં શખળડખળ જોવા મળતી હતી. આ વેળાએ જોખમ ઉઠાવી તેઓએ અદાણી ગ્રુપમાં 15,446 કરોડ રૂપિયા રોક્યા હતા. બાદમાં 23 મે સુધીમાં આ રોકાણની વેલ્યુ રૂ. 25,000 કરોડને આંબી ગઈ છે. એટલે કે રાજીવ જૈનની પેઢીએ માત્ર 53 દિવસોમાં 10 હજાર કરોડ રૂપિયાની કમાણી રોળી નાખી છે.