ગીરઃ છેલ્લા દસ દિવસથી 11 સિંહોના મૃત્યુના મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફ શંકા ઉભી થઈ હતી. સિંહના મોત થયા બાદ શંકાસ્પદ રીતે અગ્નિ સંસ્કાર કર્યા હતા અને ક્યા કારણથી મોત થયું તે મામલે અલગ અલગ નિવેદનો સામે આવ્યા હતા. તમામ બાબતોને કારણે સમગ્ર દેશમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે સરકાર આ મામલે ઘેરાતા તાત્કાલિક કાર્યાવાહી શરૂ કરી છે.
ગીરના જંગલમાં 11 દિવસમાં 11 સિંહોના મોત મામલે વન વિભાગના અધિક મુખ્ય સચિવનું નિવેદન સામે આવ્યું છે. સિંહોના મોત મામલે રાજીવ ગુપ્તાએ કહ્યું કે સિંહોના મોતનું હાલ પ્રાથમિક તારણ વર્ચસ્વની લડાઈ માનવામાં આવી રહી છે. છતાં પણ ગીરના પૂર્વ અને પશ્ચિમની 16 રેન્જમાં તમામ સિંહોનું સ્કેનિંગ કરવામાં આવશે. આગામી દિવસોમાં વન વિભાગની 64 ટીમો તમામ રેન્જની અંદર આવેલા સિંહોનું સ્કેનિંગ કરશે.
બીજી તરફ મૃતસિંહોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તેને વધુ તપાસ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણે ખાતે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના પરિણામ બાદ જાણી શકાશે કે ખરેખર સિંહોના મોતનું કારણ શું છે. સરકારનો પક્ષ રાખવા માટે ચીફ સેક્રેટરી આવ્યા હતા અને તેમને આ મામલે સ્પષ્તા કરી હતી.
સમગ્ર દેશમાં સિંહના મોત થવાથી દેશભરમાં ચર્ચા બની હતી. ગીરમાં સિંહના મોત બાદ વનવિભાગ દોડતું થયું અને વનવિભાગ હવે સિંહોના મોતનુ કારણ જાણવા માટે સ્કેનિગ કરશે. આ કામ માટે વનવિભાગની 64 ટીમો કામ કરશે અને તમામ રિપોર્ટ સરકારને સોપશે.
આક્ષોપો થઈ રહ્યા હતા કે તંત્રની ઢીલી બેદરકારીના કારણે ખનન માફિયાઓ જંગલમાં રાજ કરી રહ્યા છે. તેના કારણે સિંહો સ્થળાંતર કરી રહ્યા છે. જો કે આ મામલે સરકારે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે. તેના કારણે વનવિભાગ સફાળુ જાગ્યું છે. હવે તે આ દિશામાઁ કામ કરી રહ્યું છે.
છેલ્લા 2 વર્ષમાં 184 સિંહોના મોત થયા છે. છેલ્લા એક સપ્તાહમાં થયેલા 11 સિંહોના મોતને લઈને વનવિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ 1 મહિનામાં 25 સિંહોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. છેલ્લા 2 વર્ષમાં 184 સિંહોના મોત પૈકી 152 સિંહોના કુદરતી રીતે મોત થયા છે. જ્યારે 32 સિંહોના આકસ્મિક મોત થયા છે. વન વિભાગ પોતાની કામગીરીમાં ક્યાક ઉણું ઉતરતું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.