ભારત અને ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગાંધી પરિવારથી જોડાયેલા સંસ્થાનોમાં ચીનથી ફંડ આવતું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપો બાદ કેન્દ્ર સરકારે હવે આ ફાઉન્ડેશન વિરુદ્ધ તપાસ શરુ કરી દીધી છે. આ તપાસ કરવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે જેમાં વિદેશી ફંડ અને કાયદાનું ઉલ્લંઘન મામલે તપાસ કરવામાં આવશે. આ દરમિયાન રાજીવ ગાંધી ફાઉન્ડેશનને દાન આપનાર દાતાઓના નામની યાદી બહાર આવી છે.
ગાંધી પરિવારથી જોડાયેલા ફાઉન્ડેશન સામે તપાસ શરુ
રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ફંડ આપતા દાતાઓની યાદી આવી સામે
મેહુલ ચોકસી અને સંજય ચંદ્રાએ પણ ફંડ આપ્યું હોવાનો ઘટસ્ફોટ
એક મીડિયાના અહેવાલ અનુસાર આ યાદીમાં રિલાયન્સ, TVS મોટર કંપની, ઈન્ડિયન મેલ્ટિંગ એન્ડ રિફાઈનિંગ અને યુનિટેક વાયરલેસ કંપનીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે યુનીટેકનાં પૂર્વ એમડી સંજય ચંદ્રા છેતરપીંડીના આરોપમાં વર્ષ 2017થી જેલમાં બંધ હતા જોકે હાલમાં માતાપિતાના સ્વાસ્થ્યના કારણે તેમને જામીન મળ્યા છે.
આ જ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને જીવીકે ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, નેશનલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મિશન અને ONGCએ પણ દાન આપ્યું છે. મીડિયાનાં અહેવાલ અનુસાર મેહુલ ચોકસીની કંપનીએ પણ પણ ફંડ આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ રકમ નવિરાજ એસ્ટેટ પ્રાઈવેટ લિમીટેડ મારફતે આપવામાં આવ્યા છે. જોકે હાલમાં કેટલી રકમ આપવામાં આવી છે તે મુદ્દે કોઈ ખુલાસો થઇ શક્યો નથી. નોંધનીય છે કે મેહુલ ચોકસી કુલ 13 હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું કરીને દેશની ભાગી ગયો છે.
બીજી તરફ આ મુદ્દે દેશમાં રાજકારણ શરુ થઇ ગયું છે. ભાજપને કોંગ્રેસ પર હુમલો કરવાનો વધુ એક મોકો મળી ગયો છે ત્યાં કોંગ્રેસ પણ ભાજપ પર આક્ષેપ લગાવી રહી છે. રાહુલ ગાંધીએ પણ પલટવાર કરતા કહ્યું હતું કે મોદીજી બધાને પોતાના જેવા જ સમજે છે પરંતુ સત્ય માટે લડનારા લોકોને ક્યારે ધમકાવી શકાય જ નહીં. ભાજપ તો પહેલેથી જ કોંગ્રેસ પર આ મુદ્દે આરોપો લગાવી રહ્યું હતું ત્યારે કેન્દ્ર સરકારની તપાસ શરુ થઇ જતા ભાજપ કોંગ્રેસ વધુ આકરા પ્રહારો કરી રહ્યું છે.
નોંધનીય છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1991માં કરવામાં આવી હતી અને સોનિયા ગાંધી તે ફાઉન્ડેશનના અધ્યક્ષ છે.