'મુન્ના, ઝૂંડ મેં તો સુઅર આતે હૈ... શેર અકેલા હી આતા હૈ' વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'શિવાજી ધ બોસ'માં રજનીકાંતનો આ મશહૂર ડાયલોગ, હવે તેમની નવી રાજનીતિમાં આગમન વખતે, બરાબર ફીટ બેસે છે. તમને એ જાણીના નવાઈ લાગશે કે, જૈફ વયે પણ ફિલ્મ ઉદ્યોગમાં, પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહેલા રજનીકાંત હવે ભારતીય રાજનીતિમાં સૌથી અલગ રણનીતિ સાથે પ્રવેશ કરી રહ્યા છે.
રાજનીતિમાં રજનીકાંતનો પ્રવેશ?
રજની કરશે નવા પક્ષની સ્થાપના
પણ મુખ્યમંત્રી બનશે નહીં
દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સુપરસ્ટારનું બિરુદ પામેલા અને થલૈવા નામથી જાણીતા રજનીકાંતના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાને પ્રશંસકોની ભારે ભીડ જામી હતી. રજનીકાંતે પોતાના આવાસ પર એકઠા થયેલા પ્રશંસકોનું અભિવાદન કર્યું હતું. તેમના નિવાસ્થાને પ્રશંસકોની જામેલી ભીડનું એક કારણ હતું. કારણ એ હતું કે, સમર્થકો અને પ્રશંસકોને એ વાતનો અણસાર જણાતો હતો કે, આજે રજનીકાંત એક નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. જો કે, રજનીકાંતે નવી પાર્ટીના નામની જાહેરાત તો ન કરી. પરંતુ તેમણે જે સંબોધન કર્યું તેમાં ભવિષ્યની રાજનીતિ અંગેનું તેમનું દર્શન કરાવી રહ્યો હતો.
રજનીકાંતે સંબોધનમાં શું કહ્યું?
રજનીકાંતે કહ્યું હતું કે, 'અમે નક્કી કર્યું છે કે પક્ષનો જે નેતા હશે તે સરકારમાં સામેલ નહીં થાય. પક્ષનો વડો ક્યારેય મુખ્યમંત્રી નહીં બને. હું પક્ષનો નેતા રહીશ અને ક્યારેય મુખ્યમંત્રીનો ઉમેદવાર નહીં બનું. જે મુખ્યમંત્રી બનશે તે તમિલનાડુનો જ હશે, ભણેલો હશે અને રાજ્યને લઈને તેની પાસે દૂરદ્રષ્ટિ હશે. અમારો પક્ષ જ સરકારને સવાલ પૂછશે. કાંઈ ખોટું થશે તો અમારો પક્ષ જ સરકાર સામે કાર્યવાહી કરશે. અમે સમાંતર સરકાર નહીં ચલાવીએ''
રજનીકાંતના આ સંબોધનમાં દેશમાં નવી રાજનીતિ માટેની નવી રણનીતિ ઘડાઈ ચૂકી હોવાનું સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. કેમકે રજનીકાંતે કલ્પેલા આ ડ્યુઅલ પ્લાન મુજબ કોઈ સરકારની રચના થાય તો દેશની રાજનીતિમાં એ પ્રથમ પ્રયોગ હશે. ડ્યૂઅલ પ્લાન મુજબ કેવી રીતે રજનીકાંત કામ કરવા માગે છે કામ આવો સમજીએ..
રજનીકાંતની રાજનીતિનો 'ડ્યૂઅલ ફોર્મ્યૂલા'
'ડ્યુઅલ પ્લાન' પ્રમાણે પાર્ટીમાં બે વિભાગ હશે.
એક વિભાગ પક્ષની પ્રવૃત્તિનું સંચાલન કરશે.
બીજો વિભાગ સરકારના કામકાજ પર નજર રાખશે.
પાર્ટીનો વડો સરકારમાં સામેલ નહીં થાય કે સરકાર પર હાવી નહીં થાય.
પાર્ટીનો વડો સરકારમાં પણ સામેલ નહીં થાય.
પાર્ટીના વડાને મુખ્યમંત્રી નહીં બનાવાય.
મુખ્યમંત્રીનું પદ રાજ્યમાં ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવનારા નાગરિકને સોંપાશે.
પક્ષ યોગ્ય નાગરિકોને ચૂંટણી લડવાની તક આપશે.
પક્ષ ખુદ પોતાની સરકાર સામે સવાલ ઉઠાવશે.
સરકારની ભૂલ હશે તો પાર્ટી સરકાર સામે કાર્યવાહી પણ કરશે.
પરંતુ કોઈપણ આ ડ્યૂઅલ ફોર્મ્યૂલા પર રાજી થયા નથી
ફિલ્મ ઉદ્યોગમાં અસીમ લોકપ્રિયતા હાંસલ કર્યા બાદ રજનીકાંત હવે રાજનીતિમાં નવી વ્યૂહરચના સાથે પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. રજનીકાંતનું માનવું છે કે, લોકો રાજનીતિમાં બદલાવ ઈચ્છે છે. આથી તેઓ હવે પોતાની જ પાર્ટીની રચના કરીને તેમાં નવી લીડરશીપ તૈયાર કરવા માગે છે. પરંતુ આપને જણાવી દઈએ કે, તમિલનાડૂના લોકો માટે રજનીકાંતે જે પ્લાન તૈયાર કર્યો છે તેને લઈને તેઓ જનતા વચ્ચે જશે. જો કે આ પહેલા રજનીકાંત પોતાના આ પ્લાન વિશે નેતાઓ, પત્રકારો અને અધિકારીઓ સાથે વાત કરી ચૂક્યા છે. પરંતુ કોઈ પણ આ ડ્યૂઅલ ફોર્મ્યૂલા પર રાજી થયા નથી. પરંતુ તેમ છતાં રજનીકાંત આ જ વ્યૂહરચના પર આગળ વધવા માગે છે. ત્યારે જોવાનું એ રહેશે કે, દેશમાં રજનીકાંત નવી રાજનીતિનો આરંભ કરવામાં સફળ રહેશે કે તેમનો આ પ્લાનનું વર્તમાન રાજનીતિનના વાયરસમાં બાળમરણ થઈ જશે?