તામિલનાડુ ભારતનું એવું રાજ્ય છે, જ્યાંની રાજનીતિમાં ફિલ્મી સિતારાઓનો દબદબો હંમેશાં રહે છે. હવે દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે જાન્યુઆરી, ૨૦૨૧માં પોતાનો રાજકીય પક્ષ શરૂ કરવાની અને તેમના પક્ષ દ્વારા તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રજનીકાંતના સમર્થકો ’૯૦ના દાયકાથી તેમની આ રાજનૈતિક સફરની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આમ જોવા જઈએ તો રજનીકાંતને રાજનીતિમાં આવતાં આવતાં ૨૫ વર્ષ લાગી ગયાં.
રજનીકાંતની રાજનીતિમાં એન્ટ્રી
અન્ય પક્ષો પર પડી શકે છે ભાડે
રજનીકાંત મુળ મરાઠી છે
વર્ષ ૧૯૯૬માં જ્યારે તામિલનાડુના તત્કાલિન મુખ્યપ્રધાન જયલલિતાના દત્તક પુત્ર વી.એન. સુધાકરનનાં ભવ્ય લગ્ન સમારોહમાં જોરદાર ખર્ચ કરવામાં આવ્યો ત્યારે પહેલી વખત રજનીકાંતની રાજનીતિમાં પ્રવેશ કરવાની મહત્વકાંક્ષા વિશે આખી દુનિયાને જાણ થઈ હતી. એ સમયે રજનીકાંતે સાફ સાફ કહ્યું હતું કે, સરકારમાં ભ્રષ્ટાચાર ભયંકર હદે વ્યાપેલો છે અને આ પ્રકારની ભ્રષ્ટ સરકારને સત્તામાં હોવું જોઈએ નહીં, પરંતુ એક પરિપક્વ અને સત્તાવાર જાહેરાત સુધી પહોંચવામાં રજનીકાંતને વર્ષો લાગી ગયાં.
અન્નાદ્રુમકનું શક્તિ સંતુલન ગમે ત્યારે બગડી શકે
દ્રવિડ આંદોલનના મહત્ત્વપૂર્ણ સ્તંભ અને પૂર્વ મુખ્યપ્રધાન ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિ અને અન્નાદ્રુમક (એઆઈએડીએમકે)ના અધ્યક્ષ જે. જયલલિતાનાં નિધન બાદ તામિલનાડુની રાજનીતિ એવા મુકામે આવીને ઊભી હતી જ્યારે રાજ્યમાં નવી વિચારધારા અને નવા સંઘર્ષ જન્મ લઈ રહ્યા હતા. જયલલિતાનાં નિધન બાદ એઆઈએડીએમકે પાયાથી હચમચી ગઈ અને ત્યારબાદ ભલે મુખ્યપ્રધાન ઈ. પલાનીસ્વામી અને નાયબ મુખ્યપ્રધાન પનીરસેલ્વમ સરકાર ચલાવી રહ્યા છે, પરંતુ પક્ષમાં વર્ચસ્વ અને ટી.ટી.વી. દિનાકરનની સતત વધતી લોકપ્રિયતાના કારણે અન્નાદ્રુમકનું શક્તિ સંતુલન ગમે ત્યારે બગડી શકે તેમ છે.
રજનીકાંતની જાહેરાતથી અન્ય પક્ષો સામે થઇ શકે પડકાર
જ્યાં સુધી ડીએમકે અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનની ક્ષમતા અને તાકાતનો સવાલ છે તો ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણી તેમના જ નેતૃત્ત્વમાં લડવામાં આવી હતી, પરંતુ તેમણે બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. સરકાર વિરોધી લહેર હોવા છતાં પણ ડીએમકે સતત બીજી વાર પરાજિત થઈ. વર્ષ ૨૦૧૭માં જયલલિતાનાં નિધન બાદ આર.કે. નગર પેટાચૂંટણીમાં ડીએમકે ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. હવે ભાજપે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ૪૮ બેઠક જીતીને દક્ષિણ ભારતમાં પ્રવેશ કરી લીધો છે અને ભાજપ દક્ષિણ ભારતની રાજનીતિમાં કોઈપણ પક્ષને આગળ જવા દેવા તૈયાર નથી.હવે રજનીકાંતની જાહેરાતથી ડીએમકે અને એઆઈએડીએમકે માટે નવા પડકારો ઊભા થયા છે. તામિલ સિનેમાના સ્ટાર કમલ હાસન પહેલેથી જ રાજનીતિમાં પદાર્પણ કરી ચૂક્યા છે.
રજનીકાંતનો રાજનીતિમાં પ્રવેશ સફળ રહ્યો તો...
રજનીકાંતનો રાજનીતિમાં પ્રવેશ સફળ રહ્યો તો તેનો પ્રભાવ અને પરિણામો દૂરોગામી રહેશે તે નક્કી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તામિલ અસ્મિતા પ્રત્યે અતિસંવેદનશીલ આ રાજ્યમાં એક બિનતામિલ અભિનેતાને જનતા કઈ રીતે સ્વીકારે છ અને તેમનો જાદુ કેટલો ચાલે છે. કરુણાનિધિ અને જયલલિતા જેવા દિગ્ગજની વિદાય બાદ સર્જાયેલા રાજકીય શૂન્યાવકાશને રજનીકાંત કઈ હદે ભરી શકે છે તે પણ જોવાનું રહ્યું.
રજનીકાંતનું અસલી નામ શિવાજીરાવ ગાયકવાડ છે
રજનીકાંતનું અસલી નામ શિવાજીરાવ ગાયકવાડ છે અને તેમની માતૃભાષા મરાઠી છે. તેમના પિતા જૂના મૈસૂર રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ હતા આ કારણે તેઓ કન્નડ ભાષા બહુ સારી રીતે બોલી શકે છે. અનોખી ડાયલોગ ડિલિવરી, જોરદાર અભિનય અને હટકે સ્ટાઈલથી તેઓ સફળતાનાં શિખર સર કરી શક્યાં છે. રજનીકાંત માટે પણ આ સૌથી આકરી પરીક્ષાનો સમય છે. તેમની તબિયત પણ તંદુરસ્ત નથી અને વાનપ્રસ્થની ઉંમરે તેઓ રાજનીતિમાં પ્રવેશી રહ્યા છે. તામિલનાડુની દ્રવિડ રાજનીતિમાં સ્થાન બનાવવું એ રજનીકાંત માટે પણ આસાન નહીં જ હોય. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, તેમનો નવો રાજકીય પક્ષ ધર્મનિરપેક્ષ અને આધ્યાત્મિક વિચારધારાવાળો હશે. રજનીકાંતની આ આધ્યાત્મિક રાજનીતિ કેટલી સફળ રહે છે તે આવનારો સમય જ બતાવશે, પણ તામિલનાડુની રાજનીતિ બહુ મોટા પરિવર્તનની સાક્ષી બનવા જઈ રહી છે એ તો નક્કી જ છે. •