ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની રોજે અંદાજીત 1100થી 1200 બોરીની આવક થઈ રહી છે અને ખેડૂતોને પણ મણના 1500થી 1600 રૂપિયા ભાવ મળી રહ્યા છે.
ડીસા યાર્ડમાં રાજગરાની આવક શરૂ
રોજે 1100થી 1200 બોરીની આવક
દુનિયાના 10 જેટલા દેશોમાં થાય છે એક્સપોર્ટ
મોટા ભાગના રવિપાક હવે તૈયાર થઈ ગયા છે અને નવી જણસની માર્કેટ યાર્ડમાં આવક થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો અહીં રાજગરો વેચવા માટે આવી રહ્યા છે સાથે જ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે.
ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની બમ્પર આવક
બનાસકાંઠા જિલ્લાનું ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની બમ્પર આવકના કારણે હાઉસ ફુલ છે. હાલમાં અહીં રાજગરાની રોજે અંદાજીત 1100થી 1200 બોરીની આવક થઈ રહી છે અને ખેડૂતોને પણ મણના 1500થી 1600 રૂપિયા ભાવ મળી રહ્યા છે. સારો ભાવ મળતા ખેડૂતો પણ ઘણા ખુશ-ખુશહાલ છે.
વિશ્વના 10 જેટલા દેશમાં ગુજરાતના રાજગરાની ડિમાન્ડ
ડીસામાં થતા રાજગરાની ડિમાન્ડ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વના 10 જેટલા દેશમાં રહે છે. નોંધનીય છે કે યુરોપ, આર.એફ. અને યુ.એસ સહિત 10 થી વધુ દેશોમાં આ રાજગારાની નિકાસ કરવામાં આવે છે. ડીસામાં થતો રાજગરો તેની ગુણવત્તાના કારણે ભારે ડિમાંડમાં રહે છે અને અહીં થતા રાજગરાનો સફેદ કલર અને દાણો પણ મોટો હોવાના કારણે તેની માંગ સતત વધી રહી છે. આ સાથે જ ડીસાની જમીનમાં પાકતા રાજગરામાં પ્રોટીનનું પ્રમાણ પણ વધુ હોવાથી તેની માંગ વધી રહી છે.
સારા ભાવ મળતાં હોવાથી ઉત્પાદન પણ વધી રહ્યું
દેશભરમાં રાજગરાનું સૌથી મોટું બજાર ડીસા છે અને આ દાણાને રામદાણા પણ કહેવામાં આવે છે. જો કે રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે. જણાવી દઈએ કે આયુર્વેદમાં રાજગરાને મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ એટલે કે અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજગરો ડાયેટ ફૂડ છે અને તેમાં કુદરતી સ્ટીરોઈડ હોય છે અને તેના આ ગુણોને કારણે રોજબરોજ તેનો વપરાશ વધી રહ્યો છે. આ સાથે જ ખેડૂતોને સારા ભાવ મળતાં હોવાથી હવે ઉત્પાદન પણ વધી રહ્યું છે.