યૂપીના ઇટાવા જિલ્લામાં સોમવારે એક દુ:ખદાયક ઘટના ઘટી છે. અહીંયા રાજધાની એક્સપ્રેસની ચપેટમાં આવવાથી ચાર લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના બન્યા બાદ સ્ટેશન પર અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ચારે બાજુ બૂમાબૂમ થઇ ગઇ હતી.
ઉત્તરપ્રદેશના ઈટાવામાં એક ટ્રેન અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. ઈટાવામાં રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી જતા ચાર મુસાફરોનાં મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટના ત્યારે બની કે જ્યારે અવધ એક્સપ્રેસને લૂપ લાઈનમાં ઊભી રાખવામાં આવી હતી અને રાજધાની એક્સપ્રેસને પસાર કરાવવામાં આવી રહી હતી. ત્યારે ચાર મુસાફરો રાજધાની એક્સપ્રેસની અડફેટે આવી જતા તેઓનાં મોત થયા છે. ઘટના પગલે રેલવે સ્ટેશન પર ભારે અફરા તફરી મચી ગઈ. ચારેય મુસાફરો બાંદ્રા જઈ રહેલી અવધ એક્સપ્રેસના જ મુસાફરો હતા.
મહત્વનું છે કે અવધ એક્સપ્રેસને લૂપ લાઈનમાં રાખવામાં આવી ત્યારે ગરમીથી ત્રસ્ત યાત્રીઓ ટ્રેનમાંથી ઉતરીને રેલવે ટ્રેક પર ઉભા હતા. બસ આ મુસાફરો જે ટ્રેક પર ઉભા હતા તે જ ટ્રેક પરથી રાજધાની એક્સપ્રેસ પસાર થઈ અને યાત્રીઓ અડફેટે આવતા મોત થયા. તો ઘટનાના પગલે જિલ્લા તંત્ર અને રેલવે સિવાય અન્ય અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતુ.