સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો દ્વારા ભગવાન શિવ અને હનુમાનજી પર કરાયેલ ટિપ્પણી અંગે લોકકલાકાર રાજભા ગઢવી ગુસ્સે ભરાયા.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર રાજભા ગઢવી ગુસ્સે થયા
આમાં માફી-બાફી ચાલે નહીં, આ ગુનો છે : રાજભા ગઢવી
સંતોના કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આવ્યા હતા સામે
છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કેટલાક વિવાદિત નિવેદનો સામે આવી રહ્યાં છે. જેમાં ભગવાન વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરાતા હિંદુ ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લોકકલાકાર રાજભા ગઢવીએ કડક ભાષામાં જવાબ આપ્યો છે.
જ્યારે-જ્યારે ભગવાનનું અપમાન થશે ત્યારે અમે ચૂપ નહીં બેસીએ: રાજભા
ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણી કરનાર સંતોને રાજભા ગઢવીએ આડે હાથ લીધા છે. તેઓએ કહ્યું કે, 'આ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ લોકોમાં ભગવાન શંકરને ઓળખવાની તાકાત નથી. મારા ભગવાન વિશે બોલશે તો અમે પણ તેની સામે બોલીશું. જાણી જોઈને સનાતન ધર્મને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યારે-જ્યારે ભગવાનનું અપમાન થશે ત્યારે અમે ચૂપ નહીં બેસીએ.' વધુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો દ્વારા કરાયેલ ટિપ્પણી અંગે લોકકલાકાર રાજભા ગઢવીએ VTV પર કહ્યું કે, 'આમાં માફી ન હોય, આ ગુનો છે.'
તાજેતરમાં જ વધુ એક સંતનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
તદુપરાંત તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે હનુમાનજીને લઈને કહ્યું કે, 'હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પરંતુ ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. જો એવા તો નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની સમાન જ પૂજનીય છે. આ બધા કોઈ ભગવાન નથી. આ તમામ ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે. એટલે કે તેઓ સંત છે. તેમને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય, ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કરી શકાય, પરંતુ હનુમાનજી મહારાજને ભગવાન ન કહી શકાય.'
સંતોના એકબાદ એક જૂના વીડિયો થઇ રહ્યાં છે વાયરલ
ઉલ્લેખનીય છે કે, હજુ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદાસ્પદ નિવેદનનો મામલો શમ્યો નથી. ત્યાં તો વધુ એક સંતનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન થાય છે કે, હિન્દુ ધર્મમાં સાધુ, સંત અને સંન્યાસી આ ત્રણેયને સમાજ સર્વોચ્ચ માન અને સન્માન આપવામાં આવે છે. પરંતુ આજ ધર્મના સાધુ-સંત અને સમુદાયના લોકો જો ધર્મ અને ભગવાનનું અપમાન કરે તો સમાજનો ચહેરો શરમથી ઝુકી જાય છે. આ સમાજ એટલે કે હિન્દુ ધર્મના કહેવાતા સંપ્રદાય, કહેવાતા સાધુઓ અને કહેવાતા સંતો. તાજેતરમાં જ હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયના સોખડા હરિધામના સ્વામી આનંદસાગરે શિવજી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ છેડ્યો હતો. જેના લીધે સમગ્ર સાધુ-સંત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આથી બાદમાં આકરી ટીકા-ટિપ્પણી બાદ સ્વામીએ માફી માંગવી પડી હતી અને સ્વામીએ શિવભક્તોના રોષનો ભોગ બનવું પડ્યુ હતું.