રાજસ્થાનમાં ચાલી રહેલ ગુર્જર આંદોલનની અસર ધીમે-ધીમે સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટ ઉપર પડી રહી હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાનમાં ગુર્જરો અનામતની માંગને લઈને રસ્તા ઉપર આવી ગયા છે. ત્યારે સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ દેશના જુદા જુદા રાજ્યોમાં માલ મોકલતા ડરી રહ્યા છે. કારણ કે ભૂતકાળમાં જ્યારે ગુર્જર આંદોલન ચાલતું હતું ત્યારે તે આંદોલન હિંસક બન્યું હતું. ત્યારે ઘણી ટ્રકોને આગને હવાલે કરી દીધી હતી અને સુરત ટેક્સ્ટાઈલ માર્કેટના ઘણા વેપારીઓનો માલ પણ એમાં સળગી ગયો હતો. જેને લઇને આ વખતે વેપારીઓ રિસ્ક લેવા માંગતા નથી.
હાલ રાજસ્થાનમાં ગુર્જર આંદોલન ચાલી રહ્યું છે તેની સીધી અસર સુરતના કપડા બજાર ઉપર પડી રહી છે. હાલમાં ગુર્જર આંદોલનને કારણે સુરતથી જયપુર થઈને પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તરપ્રદેશ બિહાર જેવા રાજ્યોમાં માલ મોકલવામાં આવે છે તેમાં મહત્તમ ઘટાડો નોંધાયો છે. હાલ સુરતના ટેક્સટાઇલ માર્કેટને ગુર્જર આંદોલનને કારણે ૩૫૦ કરોડનો ફટકો પડ્યો છે. હાલ ગુર્જર આંદોલન રેલના પાટા ઉપર થઈ રહ્યું છે. પરંતુ ધીમે-ધીમેએ આંદોલન પાંચ જિલ્લાઓ સુધી પહોંચ્યું છે ત્યારે સુરતથી 200 જેટલી ટ્રકો માલ ભરાઇને દેશના અલગ અલગ ભાગોમાં જાય છે.
ગુર્જર આંદોલન હિંસક બની જાય અને તેઓ તોડફોડ કરે કે ટ્રકોને આગને હવાલે કરી દે તેવા સમયમાં માલને નુકસાન થતું હોય એ જોઈને વેપારીઓ હાલ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા ન હોવાનું સામે આવ્યું છે. જો આ આંદોલન ચાલુ જ રહેશે તો હાલમાં ચાલી રહેલી લગ્ન સિઝન અને આગામી દિવસોમાં આવી રહેલી અખાત્રીજનો પર મોટી અસર દેખાશે એવું વેપારીઓનું માનવું છે. ત્યારે સરકાર તાત્કાલિક ગુર્જરો સાથે વાત કરીને આંદોલનને તો સારું નહીં તો આની અસરને કારણે સુરતના ટેક્સટાઈલ માર્કેટને હજારો કરોડ નુકશાન વેઠવાનો વારો આવશે.