રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ ગેહલોત સરકારને વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. ગેહલોત સરકારે રાજ્યપાલ પાસે 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરી હતી. આ પહેલા સત્ર બોલાવવાને લઇને ગેહલોત કેબિનેટની બેઠક થઇ હતી, જેમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવા માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. પ્રસ્તાવને રાજ્યપાલની પાસે મોકલવામાં આવ્યો હતો જે તેમણે સ્વીકાર કરી લીધો છે.
રાજસ્થાન વિધાનસભા સત્ર બોલાવવાની મંજૂરી
14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળશે વિધાનસભા સત્ર
અગાઉ સત્ર બોલાવવાની ગેહલોત સમર્થક ધારાસભ્યોએ કરી હતી માગ
રાજભવન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલ કલરાજ મિશ્રએ રાજસ્થાન વિધાનસભા સત્રને 14 ઓગસ્ટથી શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલે રાજસ્થાન વિધાનસભા સત્ર દરમિયાન કોવિડ-19થી બચવા માટે જરૂરી વ્યવસ્થા કરવાના આદેશ મૌખિક રીતે આપી દીધા છે.
જણાવી દઇએ કે, વિધાનસભા સત્ર બોલાવવાને લઇને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી ગેહલોતમાં જંગ ચાલી રહ્યો હતો. મુખ્યમંત્રી ગેહલોત જ્યાં સત્ર બોલાવવા પર અડક હતા તો રાજ્યપાલ સરકારના પ્રસ્તાવને નામંજૂર કરી રહ્યા હતા. ગેહલોત જૂથના ધારાસભ્યોએ તો રાજભવનમાં ધરણા પણ આપ્યા હતા. જ્યારબાદ રાજ્યપાલને મુખ્યમંત્રી ગેહલોતના નામથી એક પત્ર લખ્યો હતો.
રાજ્યપાલ તરફથી માંગ ન માનવામાં આવતા સીએમ ગેહલોતે પ્રધાનમંત્રી મોદી સાથે પણ વાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રીને રાજ્યપાલ કલરાજ મિશ્રના વર્તન અંગે જણાવ્યું. આ સિવાય ગેહલોત અનેક વખત રાજ્યપાલ પર પ્રહાર કરી ચૂક્યા છે.