રાજસ્થાનમાં અત્યારે રાજકીય લડાઈ સતત વધી રહી છે. સચિન પાયલટની બગાવતને લઈને કોંગ્રેસ પાર્ટી પણ બેકફૂટ પર આવવાના મૂડમાં નથી. આજે સવારે થનારી કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં જો સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો હાજર નહીં રહે તો દરેકને પાર્ટીથી બહાર કરી દેવામાં આવશે. આ સાથે જ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે રઘુવીર મીણાનું નામ પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ ગહેરાયું
બેઠકમાં પાયલટ હાજર નહીં રહે તો કરાશે બહાર
રઘુવીર મીણા બની શકે છે નવા પ્રદેશ અધ્યક્ષ
પાર્ટી કરશે આ કાર્યવાહી
જો સચિન પાયલટને પાર્ટીથી બહાર કાઢવામાં આવે છે તો નક્કી છે કે તેમનું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પણ છીનવાઈ જશે. એવામાં પાર્ટી રઘુવીર મીણાને તરત જ રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ બનાવી શકે છે. રઘુવીર મીણા અત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય છે, અગાઉ સાંસદ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
પાયલટ હાઈકમાન્ડ અને ગહેલોતથી નારાજ, બેઠકમાં નહીં રહે હાજર
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેના વિવાદ મામલે આજે અશોક ગેહલોતના નિવાસસ્થાને મહત્વની બેઠક મળશે. આ બેઠક સવારે 10.30 વાગ્યે મળશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહેશે. મળતી વિગતો મુજબ બેઠક બાદ તમામ ધારાસભ્યોને હોટેલમાં લઈ જવામાં આવશે. જયપુરના દિલ્લી રોડ પરની હોટલમાં ધારાસભ્યોને રાખવામાં આવશે. આજની આ બેઠકમાં સચિન પાયલટ હાજર નહીં રહે કારણ કે પાયલટ 20થી વધુ ધારાસભ્યો સાથે દિલ્લીમાં છે. બીજી તરફ કોંગ્રેસ હાજર ન રહેનારા ધારાસભ્યોને નોટિસ પણ આપી શકે છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને પાયલટ હાઈકમાન્ડ અને ગહેલોતથી નારાજ છે. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે પાયલટ કોંગ્રેસ સાથે છેડો ફાડીને સમર્થકો સાથે ભાજપમાં પણ જોડાઈ શકે છે.
અશોક ગહેલોતને થશે ઘી-કેળાં
ઉલ્લેખનીય છે કે રઘુવીર મીણા એ નેતાઓમાંના એક છે જેમને મુખ્યમંત્રી અશોક ગહેલોતની નજીકના ગણવામાં આવે છે. એવામાં સ્પષ્ટ છે કે અશોક ગહેલોત જે ઈચ્છે છે તે તેમને મળશે. એટલે કે સરકારની સાથે સાથે સંગઠનની ચાવી પણ તેમના હાથમાં આવશે. આ અંગે અનેક વાર સચિન પાયલટ અને તેમનામાં વાટાઘાટો થતી પણ જોવા મળી છે.
ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ કેમ?
રાજસ્થાનમાં સરકાર રચાઈ ત્યારથી ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ હતો. CM પદ માટે બન્ને વચ્ચે પહેલાથી જ સંબંધો વણસ્યા હતા. ત્યારે પાયલટને CM બનવું હતું પણ હાઈકમાન્ડના આદેશ મુજબ DyCM બનવું પડ્યું હતું. રાજસ્થાનમાં મહેનત બાદ CM પદ ન મળતા પાયલટ નારાજ હતા તેવું માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ બાદ સંબંધો વધુ વણસ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને ખરીદવા મામલે સચિન પાયલટને પણ નોટિસ મળી હતી જેમાં તેમને નિવેદન નોંધાવવા માટે કહેવાયું હતું. આવામાં નોટિસ મળ્યા બાદ પાયલટ ગેહલોતથી નારાજ છે. આ ઉપરાંત પાયલટ સમર્થકોને SOGની નોટિસ સ્વીકાર ન હતી. કોંગ્રેસની આ જ લડાઈમાં ભાજપ પોતાનો લાભ જોઈ રહી છે . ભાજપ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યું છે અને હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાયલટને મનાવવા મેદાનમાં ઉતર્યા છે.
ગઈકાલે જ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું હતું
મળતી માહિતી અનુસાર જ્યારે જયપુરમાં રાજકારણ ગરમાયું તો દિલ્હીથી વરિષ્ઠ નેતાઓને મોકલવામાં આવ્યા, આ પછી બેઠકમાં વ્હિપ જાહેર કરી દેવામાં આવ્યું અને તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે વ્હિપનું ઉલ્લંઘન કરનારા પર કાર્યવાહી કરાશે. અન્ય તરફ સચિન પાયલટ અને તેમના સમર્થક આ બેઠકથી દૂરી બનાવી રહ્યા હતા. ત્યારબાદ એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે બંને જૂથની તરફથી કોઈ પાછળ ખસવા ઈચ્છતું નથી.
સચિન પાયલટે કર્યો આ દાવો
સચિન પાયલટની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની પાસે 30 ધારાસભ્યોનું સમર્થન છે. તેનું અંતિમ રૂપ કોંગ્રેસની બેઠક બાદ જ સ્પષ્ટ થઈ શકશે. 30 ધારાસભ્યોને કોંગ્રેસ બહારનો રસ્તો દેખાડશે તો તેમની સરકાર પર પણ સંકટ સર્જાઈ શકે છે.